રાણો – કુંવ૨ રાણો રબારી કોમનો હતો; મહુવા પાસે વાંગર ગામનો રહેવાસી હતો. અને કુંવર ચભાડ શાખાના આહીરની પુત્રી હતી. બંનેનાં માલધારી કુટુંબોનાં નેસડાં ક્યાંક ડુંગરામાં એકબીજાંની નજીક પડ્યાં હશે; ત્યાં ભેંસો ચારતાં ચારતાં, યુવાન વયનાં એ બંને જણાંને પ્રીત બંધાયેલી હશે. પરંતુ આહીર જાતિ રબારી કરતાં ઊંચેરી હોવાથી બંનેની વચ્ચે વિવાહનો સંભવ નહોતો. એક દિવસ રાણો જોતો રહ્યો અને કોઈ આીરની સાથે પરણાવી દેવામાં આવેલી અબોલ કુંવર સાસરિયે ચાલી નીકળી. તે પછી રાણો વતનમાં ન રહી શક્યો. કુંવરના સમાચાર મેળવી એને પગલે પગલે ભમવા લાગ્યો. સંસારની મરજાદને કારણે પોતે કુંવરને પ્રત્યક્ષ મળવા તો ન જઈ શક્યો, પણ કુંવરનાં સાસરિયાં એક પછી એક જે જે રહેઠાણ ખાલી કરતાં કરતાં ચાલ્યાં જતાં હતાં તે તે રહેઠાણ પર જઈને રાણો એ સૂનાં ખોરડામાં કુંવરની સ્મૃતિઓ અનુભવતો હતો. આખરે કુંવરનાં સાસરિયાં ગિરકાંઠે આવેલા સાણા ડુંગરથી નીકળી ગિરનાં ઊંચામાં ઊંચા વિકટ ડુંગર નાંદીવેલા પર જઈ રહ્યા અને રાણો આવીને સાણામાં રોકાયો. કદાચ કુંવરનું કુટુંબ ધુંવાસને ધડે (એ નામના ડુંગ૨ ૫૨) ગયું હોય તેમ સમજી ત્યાં પણ આંટો મારીને શૂન્ય હૃદયે રાણો પાછો સાણા ડુંગર પર આવ્યો. નાંદીવેલો અને સાણો ડુંગર સાતેક ગાઉને અંતરે સામસામા ઊભા છે. કુંવર નાંદીવેલે ઝૂરે છે. ને રાણો સાણે ડુંગરે રડે છે. ઝૂરતી કુંવરનું શરીર સુકાવા લાગ્યું એટલે એના પતિએ માન્યું કે સ્ત્રીને ગિરનું પાણી લાગવાથી પેટમાં સારણગાંઠ થઈ છે. તેથી એણે કુંવરને પેટે દવા તરીકે ડામ દેવરાવ્યા. બીજી બાજુ રાણાને સાચેસાચ ગિરનું પાણી લાગ્યું ને પેટ વધી ગયું. એના પગનું જોર શોષાઈ ગયું. ઝાઝું જીવવાની કે ફરી વાર ૫રસ્પર મળવાની હવે આશા નથી. તે વખતે ઓચિંતાની એક દિવસ રાત્રિએ કુંવર આવી પહોંચે છે, અને એ બંને પ્રેમીઓનાં હાડપિંજર બની ગયેલા બદસૂરત શરીરો એક જ આલિંગનની ભીંસમાં ભાંગી જઈ એકસાથે શ્વાસ ત્યજે છે. દુહાઓમાંથી તો ફક્ત આટલી જ કથા તારવી શકાય છે, પરંતુ મહુવા પંથકના અનેક માલધારીઓમાં એવી વાત પ્રચલિત છે કે સાણે રાણો સૂતેલો તેમાં કુંવર આવી. રાણાના શરીર પર ઓઢેલું વસ્ત્ર કુંવર ચૂપચાપ ખેંચવા લાગી. કદાચ પોતાની ભેંસ લૂગડું 456
લોકગીત સંચય