પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આ પ્રમાણે રમતમાં એક બાળક જેવો, સંગીતમાં એક પ્રવીણ ગવૈયા જેવો, વિદ્યામાં પંડિત જેવો, જગતને નિહાળવામાં તત્ત્વવેત્તા જેવો, વાદવિવાદમાં એક સિંહ જેવો, એમ જુદી જુદી યોગ્યતાઓનું કેન્દ્રસ્થાન બની કંઇક નવીનજ સ્વરૂપમાં નરેન્દ્ર આસપાસના યુવાન વિદ્યાર્થીઓમાં વિરાજતો હતો. તે કૉલેજમાં સખત અભ્યાસ કરતો અને કવચિત્‌ કવચિત્‌ સંસારની અસારતાના વિચારોએ ચઢી વૈરાગ્યને ધારણ કરતો તથા વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવવાને મથ્યા કરતો. તે બી. એ. માં પાસ થઈ ફર્સ્ટ ક્લાસમાં આવ્યો. હવે તે એલ. એલ. બી. ને માટે અભ્યાસ કરવા લાગ્યો.

પ્રોફેસર વૃજેન્દ્રનાથ સીલ એમ. એ. કે જે નરેન્દ્રની સાથે કોલેજમાં અભ્યાસ કરતા હતા : તે નરેન્દ્ર વિષે લખે છે; “તે ખરેખરો એક ઈશ્વરી બક્ષિસવાળો યુવાન હતો; તેની રીતભાત સ્વતંત્ર હતી. છતાં સૌની સાથે તે ભળી જતો, હળી જતો. તે એક મધુર ગવૈયો હતો અને સમાજમાં પ્રિય થઈ પડેલો હતો. વિવાદ કરવામાં તે ઘણોજ બુદ્ધિશાળી જણાતો. જગતની મિથ્યા ટાપટીપ અને ડોળની સામે તે સખત ટીકા કરતો અને પ્રાણીમાત્ર તરફ અત્યંત પ્રેમભરી દૃષ્ટિથી જોતો……એક મિત્રે તેને હ્યુમ અને હર્બર્ટસ્પેનસરના ગ્રંથો વાંચવાનું કહ્યું પણ તેથી તેની અશ્રદ્ધાએ ઉલટું નાસ્તિકતાનું રૂ૫ ધારણ કર્યું…… તેણે મને પોતાની સઘળી શંકાઓ દર્શાવી અને પરમતત્વને પહોંચવાની નિરાશા જણાવી…… મેં તેને શેલીની કવિતાઓ વાંચી સંભળાવી…… જગતમાં એક સર્વસામાન્ય પરમશુદ્ધત્વ વ્યાપી રહેલું છે તે વિષે મેં તેને કહ્યું… પણ તેથી તેના આત્માને શાંતિ વળી નહિ.”