પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


એક દિવસ તે ઉતાવળો ઉતાવળો મહર્ષિને ઘેર ગયો. ઘરનું બારણું ઉઘાડ્યું. મહર્ષિ એ સમયે પોતાના અભ્યાસમાં હતા. નરેન્દ્રના જવાથી ધ્યાનમાં વિક્ષેપ પડ્યો. એકદમ નરેન્દ્રે સવાલ પુછ્યો : "મહર્ષિ, તમે ઈશ્વરને જોયો છે?” નરેન્દ્રનું મુખાવિંદ ગંભીર દેખાયું; તેના હોઠ જુદા પડી રહ્યા અને તેની બંને આંખો અંગારાની માફક ચળક્વા લાગી. મહર્ષિ એકદમ ચમક્યા, તેમના મનમાં અનેક વિચાર થવા લાગ્યા. એકવાર, બીજીવાર, ત્રીજીવાર જવાબ આપવાનો તેમણે પ્રયત્ન કર્યો, પણ અપાયો નહિં. આખરે તે બોલ્યાઃ “છોકરા, તારી આંખો યોગી જેવી છે !”

નરેન્દ્ર પાછો ગયો; તેની ખાત્રી થઈ કે મહર્ષિએ પણ ઈશ્વરને જોયો નથી. ત્યારે હવે ઈશ્વરને ક્યાં ખોળવો ? તેની ખાત્રી થઈ કે જગતનું સઘળું તત્વજ્ઞાન તે માત્ર અવર્ણનીય ઈશ્વરને વર્ણવાના અપૂર્ણ પ્રયાસજ છે ! અને તેથી સઘળાં પુસ્તકો હવે તેણે ફેંકી દીધાં. પુસ્તકોમાંનું સત્વ તેણે ચૂસાય તેટલું ચૂસી લીધેલું હોવાથી હવે તેને તે ફુસકા જેવાં લાગતાં હતાં. નરેન્દ્ર હવે બ્રહ્મોસમાજના સ્થાપક કેશવચંદ્રસેનના સમાગમમાં આવ્યો. રામકૃષ્ણાદિની લીલાઓ તેઓ ભજવતા. નરેન્દ્ર પણ તે કાર્યમાં ભાગ લેવા લાગ્યો. તેનો કંઠ મધુર હતો તેથી બ્રહ્મોસમાજની પ્રાર્થનાઓ ગાવામાં તેને અગ્રસ્થાન મળ્યું. આ સમાગમથી તેની માનસિક અને નૈતિક શક્તિ વધારે ખીલતી ચાલી અને તેનામાં તર્ક શક્તિનો વધારો થયો. મહાભારતના સમયનું આર્યાવર્ત બ્રહ્મસમાજીઓનું આદર્શ હતું તેથી તેમના સમાગમથી હિંદનું પ્રાચીન ગૌરવ, શુરાતન, પવિત્રતા, પવિત્ર અને સુશિક્ષિત આર્ય લલનાઓ, રૂષિઓ જેવા સ્વતંત્ર અને શુદ્ધ અંતઃકરણવાળા આર્ય પુરૂષો આ સર્વ તેની માનસિક સૃષ્ટિમાં ખડાં થવા લાગ્યાં. પોતાના ઘરમાં અને મિત્રોમાં પણ તે આવીજ વાતો કરવા લાગ્યો. મહાભારતના સમયનું આર્યાવર્ત તેની દૃષ્ટિમાં રમી રહ્યું.