પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
વિપત્તિનું દર્શન અને સત્યની જીજ્ઞાસા.


છેવટે બ્રહ્મોસમાજના વિચારોથી પણ નરેન્દ્રને સંતોષ વળ્યો નહિં, માત્ર પ્રાર્થનાઓ બોલીનેજ તેના મનનું સમાધાન થયું નહિ. ઈશ્વરનું સાક્ષાત્ દર્શન કરવાની તેને તીવ્ર ઈચ્છા હતી. તે દરેક બ્રહ્મ સમાજીને પુછવા લાગ્યો “તમે ઈશ્વરને જોયો છે?” પણ સઘળાએ નાજ કહી. આથી તેને લાગ્યું કે “જેને તેમણે કદિપણ જોયો નથી તેને તેઓ કેવી રીતે ભજતા હશે?” હવે તેનું મન વધારે ભમવા માંડ્યું. જગતમાં ધાર્મિક ગણાતા અનેક પુરૂષને ઘેર તે આથડવા લાગ્યો. અનેક ઘેર તે ફર્યો, ઘણા જણની પાસે ગયો, પણ દંભ સિવાય તેને કંઈ પણ માલમ પડ્યું નહિ. પદાર્થ વિદ્યાથી ઉદ્ભવેલી અશ્રદ્ધા અને ધર્મને નામે થતા પ્રપંચો જ્યાં ને ત્યાં તેની નજરે પડ્યા. પણ તેની સત્ય શોધવાની જીજ્ઞાસા હજી પણ મંદ થઈ નહિં. તે દરેક જણને પુછવા લાગ્યો. સાધુ સંતોના વેશમાં ફરતા અને મોટા ભક્ત કે ઉપદેશક કહેવાતા પુરૂષોમાં પણ જ્યારે તેને પ્રપંચ માલમ પડ્યો ત્યારે તે ઘણો જ નાઉમેદ થયો. નિર્લોભતા–પ્રમાણીકપણું તે પ્રથમ માગતો હતો. હિંદુ, ક્રિશ્ચીયન, મુસલમાન, એમ દરેક ધર્મના ઉપદેશકોના બોધ સાંભળવાને તે જતો અને તેમને પૂછતો: “તમે જે વસ્તુનો બોધ કરો છો તે વસ્તુ ખરી છે એમ શા ઉપરથી કહો છો ? તમે તેનો સાક્ષાત્કાર કર્યો છે ?” દરેક જણ પાસેથી તેને એજ જવાબ મળ્યો કે “ના; પુસ્તકોમાં એવું લખેલું છે. શાસ્ત્ર એમ કહે છે.” તેના અંતઃકરણે તે માન્યું નહિ અને સત્ય શોધવાને કલકત્તાની આસપાસનાં અનેક સ્થળોમાં પણ તે ફરવા લાગ્યો, કોઈ ઈશ્વરનો સાક્ષાત્કાર પામેલા ગુરૂની શોધમાં તે ફરતો હતો. આખરે તે જે માગતો હતો તે તેને મળ્યું. યોગ્ય સદ્‌ગુરૂ તેને કેવી રીતે મળી આવ્યા અને તેના જીવન પર્યંત તેના આદર્શરૂપ બની રહ્યા; આ વિષય હવેનાં પ્રકરણોમાં આવશે.