પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


છે, એવો તેમના અનુભવ અને ઉપદેશ હતો.

શ્રીરામકૃષ્ણ આધેડ ઉમ્મરના અને મધ્યમ કદના હતા. તેમનો ચહેરો સહજ શ્યામવર્ણનો હતો. તે બહુ જાડા નહોતા તેમ પાતળા પણ નહોતા. તેમનો દેખાવ બહુ આકર્ષક નહોતો. તેમની કેડે એક સાદુ ધોતીયું જેમ તેમ વીંટેલું રહેતું. તેમની આંખો ઘણી મોટી હતી અને તેમની દૃષ્ટિમાં સંસાર તરફ બેદરકારી દેખાતી હતી. તેઓ એક ગામડીયા જેવા ભાસતા હતા. તેમનો પોશાક કોળી જેવો લાગતો હતો. બાળક જેવા તે સરળ અને સાદા હતા, પણ તેમના તરફ દૃષ્ટિ કરનાર ફરીથી એકવાર તેમને જરા નિહાળીને જોતો કે તરતજ તેમના ચારિત્રના પ્રભાવ અને મોહિનીથી તે અંજાઇ જતો અને તેને એમ ભાન થતું કે તે કોઈ દેવની સંનિધિમાં આવીને ઉભો છે. ત્રીજીવાર દૃષ્ટિ કરતાં તો પોતાના વિચારો આ સાધુના મુખાવિંદ ઉપર જાણે કોતરાઈ રહ્યા હોય તેમ તે જોતો. શ્રીરામકૃષ્ણ સામાના મનના વિચારોને તરતજ જાણી જતા અને તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણવાર પણ પોતાના વિચારો તેમની આગળ છુપાવી શકતો નહિ, બેદરકારીથી જોતાં જોતાં પ્રેક્ષકના મનની વાત તે બીજાને કહી દેતા, પવિત્રતાની તો તેઓ મૂર્તિ જ હતા. જે બે મુખ્ય વસ્તુઓ, કાંચન અને કામિનિ કે જે મનુષ્યને પોતાનું સ્વરૂપ એળખવામાં પ્રત્યવાય રૂપ થઈ રહે છે તેનો શ્રીરામકૃષ્ણે પુરેપુરો ત્યાગ કર્યો હતો અને યોગની સાધનાવડે તુર્યાવસ્થામાં સ્થિત થઈ નિઃસીમ આનંદના અધિકારી બની રહ્યા હતા. લોકો તેમને શ્રીપરમહંસ દેવ કહેતા હતા.

પરમહંસ એક ખરેખરા મહાત્મા હતા, જો કે પોતે એક અક્ષર પણ લખી કે વાંચી જાણતા નહોતા તોપણ શ્રદ્ધા, ભક્તિ અને વૈરાગ્ય અભ્યાસવડે ગુહ્યમાં ગુહ્ય પારમાર્થિક સત્યને સમજી તેમાં ઊંડા ઉતરી શક્યા હતા. તેમનું સાદું જીવન, નિર્દોષ ચારિત્ર્ય, પરમાત્મનિષ્ઠાથી