હશે એ વિષે એકવાર તેમણે પોતાના એક શિષ્યને પૂછ્યું. શિષ્યે જવાબ આપ્યો કે “મહારાજ, મહાભારતમાં લખેલું છે કે પરમાત્મ દર્શનને પામેલા મહાત્માને પોતાની ઉત્થાન દશામાં સાત્વિક ગુણવાળા મનુષ્યની સાથેજ વાતચિત કરવાથી વિશ્રાંતિ મળે છે. ખરેખરા ધાર્મિક પુરૂષની સોબતમાંજ તે વધુ આનંદ પામે છે.” શ્રીરામકૃષ્ણ એ સાંભળીને ચૂપ રહ્યા.
શ્રીરામકૃષ્ણને બીજા અનેક શિષ્યો હતા અને તેઓ પણ સઘળા નારાયણનાં શરીર છે એમ તે માનતા; પરંતુ નરેન્દ્રને તે સર્વ કરતાં તેઓ ચઢતી કોટીનો માનતા. નરેન્દ્રને જોઇનેજ કોઈવાર તો શ્રીરામકૃષ્ણ સમાધિમાં આવી જતા. નરેન્દ્રની યોગ્યતા વિષે વારંવાર તે વખાણ કરતા. એક બાળકની માફક ભોળાભાવે નરેન્દ્રની શક્તિઓને વર્ણવતા અને તેની શકિતનું સ્મરણ કરાવતા. સઘળા શિષ્યો સમક્ષ પોતાની શક્તિઓનું વર્ણન થતું જોઈને નરેન્દ્રને જરાક શરમ આવતી, પણ શ્રીરામકૃષ્ણ ખુલ્લા હૃદયથી જે ખરૂં હતું તેજ કહેતા. આથી નરેન્દ્રને પોતાની શક્તિનું ભાન થતું અને તેને ઉત્સાહ અને બળ મળતાં. ગુરૂ તરફથી આ પ્રમાણે અર્પાયલું બળ સ્વામી વિવેકાનંદના આખા જીવનમાં તેમને યાદ આવતું અને જગતનું જે મહાન કાર્ય તેમણે કર્યું છે તે કરવામાં તે પુરેપુરા જુસ્સો અને આત્મવિશ્વાસ તેમનામાં ઉત્પન્ન કરતું,
આ પ્રમાણે નરેન્દ્રનું ચારિત્ર શ્રીરામકૃષ્ણ ઘડતા હતા. નરેન્દ્રનો અધિકાર પણ સૌ શિષ્યોમાં ઉચ્ચ ગણાતો. ગુરૂની સેવા કરવાનું કામ બીજા શિષ્યો કરતા. નરેન્દ્રને શ્રી રામકૃષ્ણ કોઈ પણ જાતની સેવા કરવા દેતા નહોતા; પણ નરેન્દ્ર સેવા કરવાનો આગ્રહ રાખ્યાજ કરતો. આ પ્રમાણે નરેન્દ્રની ઉચ્ચ શક્તિ, ઉચ્ચ અધિકાર અને અત્યંત પવિત્રતા તેના મગજમાં ઠસાવવાને અને તેના મનને ઉચ્ચ સ્થિતિએ