પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


શ્રીરામકૃષ્ણ કહેતા કે મહાપુરૂષો બે પ્રકારના હોય છે. પહેલા પ્રકારના મહાપુરૂષો બ્રહ્માનંદમાં જ મગ્ન થઈ તેમાંને તેમાંજ સ્થિત રહે છે. સર્વ જગતનું ભાન તેઓ ભુલી જ જાય છે. છતાં પણ તેમનો સ્વાનુભવ એની મેળેજ જગતમાં ધીમે ધીમે પ્રસરે છે. બીજા પ્રકારના મહાપુરૂષો બ્રહ્મભાવને પામી જગતમાં વિચરે છે, બીજાને પરમ સત્યનો સ્વાદ ચખાડે છે અને આમ જગતની સેવા કરે છે. તેમનો બ્રહ્માનંદ-આત્માનંદ-ભૂતદયામાં બદલાઈ જાય છે. આવા મહાપુરૂષો જગતના ગુરૂઓ બને છે. તેઓ કર્તા છતાં કર્તાપણાના ભાવને પામી ચૂકેલા હોવાથી કોઈપણ શુભવૃત્તિ તેમના વિદેહ મોક્ષની આડે આવી શકતી નથી.

નરેન્દ્રનું મન પહેલા પ્રકારના મહાપુરૂષ થવાને માટે ઈચ્છા કરતું હતું. પણ શ્રી રામકૃષ્ણ જાણતા હતા કે એનો ગુણ કર્મ સ્વભાવ બીજા પ્રકારના મહાપુરૂષ થવાને માટે જ યોગ્ય છે અને તેથીજ તેઓ તેને વટવૃક્ષની માફક થવાનું કહેતા હતા. તે કહેવા લાગ્યા: “સમાધિમાં પાંચ છ દિવસ પડી રહેવા કરતાં અનેકના શ્રેયનું કાર્ય કરવામાંજ તારો અધિકાર છે.” કોઈ પણ દિવસ કરડી નજર ન કરે એવા શ્રી રામકૃષ્ણ આજે જરાક કરડી નજર કરીને ઉપર પ્રમાણે નરેન્દ્રને ઠપકો આપ્યો.

નરેન્દ્રની બુદ્ધિ સર્વ સંશય વિપર્યયોથી શાંત થઈ અદ્વૈત આત્મનિશ્ચયને તો ક્યારની પ્રાપ્ત થઈ ચૂકી હતી. એકાગ્રપણે આત્મ ધ્યાન કરીને તે અલૌકિક આનંદ પણ અનુભવતો. પરંતુ સચ્ચિદાનંદ વસ્તુમાં ત્રિપુટીના લયરૂપ જે નિર્વિકલ્પ સમાધિ અલ્પ્ સમય પણ પ્રાપ્ત થતાં ચિજ્જડ ગ્રંથી ભેદાઈ જઈ અનુભવની દશાએ પહોંચાય છે; અને જન્મ મરણના તથા સર્વ દ્વંદ્વોના બીજ રૂપ કારણ શરીર તે અનુભવરૂપી જ્ઞાનાગ્નિવડે દગ્ધ થઈ અભ્યાસી મનુષ્ય જિજ્ઞાસુ મટીને કૃત કૃત્ય-જીવનન્મુક્ત બની રહે છે; તે દશા હજી સુધી તે પ્રાપ્ત કરી શક્યો નહતો.