પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧
નરેન્દ્રને નિર્વિકલ્પ સમાધિ.


ઉપલા બનાવ પછી શ્રી રામકૃષ્ણદેવની અસામાન્ય કૃપા અને નરેન્દ્રના પરમ પુરૂષાર્થના યોગે એક દિવસ સાયંકાળે નરેન્દ્ર આત્મધ્યાન કરતે કરતે સંપ્રજ્ઞાતમાંથી અસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત થઈ ગયો ! અદ્‌ભુત આનંદનો ભોક્તા આનંદ રૂપે જ અવસ્થિત બની કૃત કૃત્ય થયો ! જીવ ટળી શિવ બન્યો ! શરીર છતાં અશરીરી અને કર્તા છતાં અકર્તા ભાવને પામ્યો ! સાક્ષાત સરસ્વતી પણ ગમે તેટલાં વાક્યો કે શબ્દોથી જેને વર્ણવી ન શકે તે પરાકાષ્ટાએ–પરગતિએ—પહોંચ્યો ! પૂર્વજન્મનો યોગ ભ્રષ્ટ યોગી, નૈષ્ઠિક બ્રહ્મચારી, બુદ્ધિ અને સૌંદર્યનો સાગર, જન્મથીજ એકાગ્રતા વગેરે શક્તિઓ લઇને અવતરેલો, એવો મહાભાગ નરેન્દ્ર એ દશામાં ત્રણેક કલાક રહ્યો.

નરેન્દ્રની ઉપલી દશા તેના એક ગુરૂભાઈના જોવામાં આવતાં તે ગભરાઈ ગયો. શું કરવું તે નહિ સુઝવાથી તેણે સર્વને બુમો પાડી, એકદમ સર્વે દોડી આવ્યા, તેમણે નરેન્દ્રનો શ્વાસ પણ બંધ થયેલો જોયો એટલે નરેન્દ્ર મૃત્યુને વશ થયો છે એમજ ધારી લીધું !

જાણે ઈશ્વરેજ સૌને બોલાવ્યા હોય તેમ સર્વે બોલી ઉઠ્યા “ચાલો, ગુરૂદેવ પાસે જઈએ !” એક બે જણા રહીને બાકીના ગયા, તે વખતે શ્રીરામકૃષ્ણ અત્યંત શાંતિ ભોગવતા ગંભીર ચહેરે બેઠા હતા. શું બન્યું છે તે સર્વે તે જાણતા હતા. શિષ્યો ગભરાઇને ઉતાવળા ઉતાવળા બોલવા લાગ્યા, પરંતુ શ્રીરામકૃષ્ણ તો ખડખડ હશીજ પડ્યા ! પછી તેમણે કહ્યું : “એને રહેવા દ્યો ! એ સ્થિતિ માટે એણે મને બહુજ પજવ્યો છે !” શ્રીરામકૃષ્ણના બોલવા ઉપર શ્રદ્ધા રાખી, એ જે કરશે તે સારૂંજ કરશે એમ ધારી સર્વ શિષ્યો નરેન્દ્રની પાસે ગયા.

રાત્રે નવ વાગતા સુધી નરેન્દ્ર તેની તેજ સ્થિતિમાં રહ્યો. પછી એનો પ્રાણ ધીમે ધીમે ચાલુ થઈ જરા જરા ભાન આવવા માંડ્યું.