પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

આજ્ઞા પોતાને શિરોવંદ્ય છે એમ દર્શાવવાને તેમની ચરણરજ લઈ તેણે પોતાને માથે ચડાવી.

સમય રાત્રિનો હતો. શ્રીરામકૃષ્ણનું શરીર અંત સમયની વ્યથા ભોગવી રહ્યું હતું. શિષ્યો આસપાસ વીંટળાઈ વળ્યા હતા. મધ્યરાત્રિએ સર્વત્ર શાંતિ વ્યાપી રહી હતી.

તે સમયે શ્રીરામકૃષ્ણ મુખથી ૐ ૐ બોલતા મહાસમાધિને પ્રાપ્ત કરી રહ્યા. આ જોઈને નરેન્દ્ર ગાંડા જેવો બની ગયો ! ગુરૂનો દેહ છુટી ગયો ! તેમના મુખ તરફ નરેન્દ્ર જોઈ શક્યો નહીં. જોતે જોતે તે પુષ્કળ રોવા લાગ્યો. જે પ્રેમભર્યાં ચક્ષુઓ તેના તરફ વારંવાર જોઈ રહેતાં તે હવે સદાને માટે મીંચાઈ ગયાં ! જે મુખમાંથી વારંવાર આશિર્વાદનો ઝરો ઝરતો તે હવે સદાને માટે બંધ થઈ ગયું ! નરેન્દ્રને આ બનાવ ઘણોજ અસહ્ય લાગ્યો. હવે તે એકલો પડ્યો. તેના મનમાં હજારો વિચારો તરી આવવા લાગ્યા. અરે, શ્રી રામકૃષ્ણને વધારે ચ્હાયા હોત અને તેમને વહેલા ઓળખ્યા હોત તો કેવું સારું થાત ! નરેન્દ્ર આમ અનેક રીતે મનમાં પસ્તાવા લાગ્યો. શ્રીરામકૃષ્ણના શબને સ્મશાન ભૂમિમાં લઈ જવામાં આવ્યું અને અગ્નિ સંસ્કાર કરી સર્વ શિષ્યો તેની આસપાસ પ્રાર્થના કરતાં દંડવત પ્રણામ કરવા લાગ્યા, નરેન્દ્ર સૌની વચમાં ઉભો હતો. તે શાંત થઈ ગયો હતો. ત્યાં હજારો મનુષ્ય એકઠાં થયાં હતાં અને સૌ “જય શ્રીરામકૃષ્ણ, જય શ્રીરામકૃષ્ણ” નો પોકાર કરી રહ્યા હતા. આ વખતે ઇશ્વરની અગાધ લીલાનો વિચાર કરતો, શ્રી રામકૃષ્ણના અદ્ભુત જીવનનો વિચાર કરતો, કંઇક શોકમાં ડુબતો, નરેન્દ્ર આ જયઘોષ સાથે તદાકાર બની શ્રીરામકૃષ્ણના આત્મા સાથે પોતાના આત્માને ઉંચે ઉરાડી રહ્યો હતો.