તે સ્વામીજીને પોતાને ઘેર તેડી ગયા અને ત્યાં થોડા દિવસ રાખ્યા.
અનેકવાર ધાર્મિક વિષયો ઉપર વાત ચાલતી. અનેક વખત તેમણે
પોતાના ઉંડા જ્ઞાનનો લાભ હરિપદ બાબુને આપ્યો. બાબુને હવે લાગ્યું
કે સ્વામીજી ધાર્મિક વિષયમાં જ પ્રવીણ છે, એટલું જ નહિ પણ વ્યવહારિક જ્ઞાનમાં પણ તે આગળ પડતા છે. એક વખત જ “પીકવીક
પેપર્સ” માંથી ફકરાના ફકરા સ્વામીજી મ્હેાંડે બોલવા લાગ્યા. આ
જોઇને બાબુજી ચકિત થઈ ગયા. આવા સાધુને પણ આવાં વ્યવહારિક
જ્ઞાનનાં પુસ્તકો મ્હોડેને મ્હોડે છે એમ જાણી તે આશ્ચર્યથી પૂછવા
લાગ્યાઃ “તમે તે કેટલી વખત વાંચેલી છે ?” સ્વામીજી બોલી ઉઠ્યાઃ
“ફક્ત બેજ વખત !” બાબુજી બોલ્યા “બે વખત વાંચ્યાથી તે શી
રીતે આટલું બધું મ્હોડે થઈ જાય ?” સ્વામીજીએ જવાબ આપ્યો
“કર્મેંદ્રિયોને વશ રાખવાથી મનની શક્તિ વધે છે. કર્મક્રિયા
દ્વારા વહી જતી શક્તિઓને રોકીને તથા એકત્ર કરીને તેમને માનસિક
અને આધ્યાત્મિક શક્તિઓમાં ફેરવી નાંખવી જોઈએ. તેને
નિરંકુશ મોજશેખમાં વાપરી નાખવાથી માણસ નિર્બળ, દુઃખી અને
યાદશક્તિ વિનાનો બની રહે છે.”
એક વખત સ્વામીજી લાઈબ્રેરીમાંથી આણેલી એક ચોપડીને વાંચી રહ્યા હતા. વચમાં વચમાં તેઓ હસતા પણ દેખાતા હતા. હરિપદ બાબુ આથી તેમની પાસે ગયા. પંદર મિનિટ સુધી ત્યાં તે ઉભા રહ્યા. એ પછીથી તેમણે સ્વામીજીને બોલાવ્યા ત્યારે જ તે બોલ્યા હતા. આ જોઇને બાબુજી પૂછવા લાગ્યાઃ "હું અહીં પંદર મિનિટથી ઉભો છું અને તમે મને જોયો પણ નહિ. ” સ્વામીજી બોલ્યા “આ સર્વ મનની એકાગ્રતાને લીધેજ છે. જે પણ કાર્ય કરવું તે સારી રીતેજ કરવું જોઇએ અને સારું કરવા માટે મનને તેમાં પુરેપુરુંજ પરોવી દેવું જોઇએ.”