પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ધારણાઓ પાર પડનાર નથી.

આ વખતની તેમની માનસિક સ્થિતિ વિષે તેમના એક ગુરૂભાઈ લખે છે કે “નવી નવી માહિતી મેળવવાને તે હમેશાં પ્રયાસ કરી રહ્યા હતા. અનેક વિચારોને તે એકઠા કરતા, તેમની તુલના કરતા, દરેક જીલ્લાના ધાર્મિક અને સામાજિક સિદ્ધાંતોથી પોતાના મતિષ્કને ભરી દેતા. હિંદુજીવનમાં જણાતી ભિન્નતાઓમાં એકતા ખેાળી કહાડવાનો તે પ્રયાસ કરતા. હિંદુ પ્રજાના રીતરિવાજો અને દંતકથાઓમાં દૃશ્યમાન થતા બાહ્ય વિરોધમાં આધ્યાત્મિક એકતાને રહેલી તેઓ જોતા. આલમોરાથી તે કન્યાકુમારી સુધી પ્રવાસ કરતાં તેમને માલમ થયું હતું કે જો કદી હિંદુસ્તાનનો ઉદ્ધાર થશે તો તે તેની ધાર્મિકતા–આધ્યાત્મિકના ઉદ્ધારદ્વારાજ થશે. ભારતની તે સ્વાભાવિક અને રગે રગે વ્યાપી રહેલી સુષુપ્ત શક્તિને જાગૃત કરો, પ્રજામાં તેના સ્વરૂપનું ભાન ઉત્પન્ન કરો, એટલે તે ભાન અનેક ઉપયોગી પ્રવૃત્તિઓ-ધાર્મિક, સામાજીક, ઔદ્યોગિકરૂપમાં પ્રગટ થઈ પ્રજાને એક કરી મૂકશે. આધ્યાત્મિકતા એટલે નિવૃત્તિમાર્ગ એવો અર્થ સ્વામીજી કરતા નહોતા; પણ શ્રીમદ્ ભગવદ્‌ગીતામાં વર્ણવેલા નિષ્કામ સ્વધર્માનુષ્ઠાનરૂપી કર્મયોગને જ તેઓ પ્રાધાન્યપદ આપતા. મનુષ્યે કર્મવીર થવાનું છે એમ તે કહેતા. આધ્યાત્મિકતાનો તે બહોળા અર્થ કરતા. વળી અદ્વૈતવાદ અને ઇસ્લામીઓના સુફીવાદના સિદ્ધાંતો વચ્ચે ઘણીજ સામ્યતા રહેલી છે અને એ સામ્યતા સમજાવવાથી ઈસ્લામીઓ અને હિંદુઓ વચ્ચે ભ્રાતૃભાવની લાગણી વધશે એ બોધ તે કરતા. આ પ્રમાણે ધર્મના ઉંડા જ્ઞાનના પ્રચારથી બાહ્ય ધાર્મિક ભેદો નષ્ટ થઈને સર્વ માતૃભૂમિના ઉદ્ધારના કાર્યમાં જોડાશે એમ તે દૃઢપણે માનતા.