પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લેખકનો ઉપોદ્ઘાત.

આ જગતમાં કોઈ પણ મનુષ્ય એકની એકજ સ્થિતિમાં સર્વદા રહી શકતો નથી. કાં તો તે પોતાના જ્ઞાન અને આચરણને ઉન્નત કરતો ચાલી દેવ સમાન બનતો જાય છે; અથવા તો તે સ્વાર્થ, લોભ અને મોહાદિને વશ વર્તતો ચાલી અધમતાને પ્રાપ્ત કરતો જાય છે. આથીજ કરીને પ્રત્યેક મનુષ્યે પોતાના જીવનનું લક્ષ્યબિંદુ યાને આદર્શ બહુજ ડહાપણપૂર્વક નક્કી કરવાની અને પછી તેને અનુસરીને પોતાનું જીવન ગાળવાની આવશ્યકતા છે. કોઈ પણ ઉચ્ચ લક્ષ્ય વગર જીવનનૌકાને ગમે તેમ ઘસડાઈ જવા દેવી એતો આત્મહત્યા કરવા જેવું જ છે.

મનુષ્યના વ્યાવહારિક જીવનનો આધાર પણ તેના લક્ષ્યબિંદુ ઉપરજ રહેલો છે. તે લક્ષ્યબિંદુને અનુસરીનેજ મનુષ્યનું હાલનું જીવન ઘડાયેલું છે અને વર્તમાનમાં જેવું તેનું લક્ષ્યબિંદુ હશે તેને અનુસરીનેજ તેનું ભાવી જીવન ઘડાશે. આ પ્રમાણે હોવાથી મનુષ્યે કોઈ સર્વોત્કૃષ્ટ વસ્તુસ્થિતિને જ પોતાના જીવનના આદર્શ તરિકે ઠરાવવી જોઈએ અને પછી એને રસ્તે પોતાના જીવનને વાળવું જોઈએ કે જેથી તે લક્ષ્ય સત્વર પ્રાપ્ત થઈ જીવન સર્વોત્કૃષ્ટ બની રહે.

આત્મસાક્ષાત્કારવડે પ્રાપ્ત થતી “નૈતિક અને આધ્યાત્મિક પૂર્ણતા” એજ આર્યશાસ્ત્રોનો સર્વોત્કૃષ્ટ આદર્શ છે. વિશ્વની સર્વ પ્રજાઓએ માન્ય કરેલું છે કે આથી ઉચ્ચતર આદર્શ બીજો કોઈ પણ હોઈ ન શકે. આ પૂર્ણતા સર્વ દેશ અને સર્વ સમયમાં એક જ હોવા છતાં જુદા જુદા દેશ કાળમાં તે જુદા જુદા પ્રકારે વર્ણવાયેલી છે. આ આત્મસાક્ષાત્કાર થયા પછી મનુષ્યમાં એક એવો અલૌકિક ભાવ અને બુદ્ધિ પ્રકટ થાય છે કે જે બીજા કોઈપણ સાધનથી પ્રકટ થાય તેમ નથી.