પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૯
મદ્રાસ અને હૈદ્રાબાદ.


સ્વામીજીએ સર્વેને પોતાનો પશ્ચિમમાં જવાનો વિચાર જણાવ્યો હતો. મદ્રાસમાં તે સર્વેને કહેતા કે “પ્રાચીન ઋષિમુનિઓનો હિંદુ ધર્મ અત્યાર સુધી સ્થાયી થઈ રહેલો છે. તેને ગતિમાન થવાનો વખત હવે આવ્યો છે. હિંદુ ધર્મના પ્રચાર માટે આપણે કમ્મર કસીને સજ્જ થવું જોઈએ. આપણો ધર્મ–કોટ અભેદ્ય છે એમ ખાલી બોલ્યા કરવું અને તેના ઉપર અનેક પ્રહાર થાય તે શું આપણે જોયાજ કરવા ? પ્રાચીન સમયમાં આપણા પૂર્વજો માત્ર પોતાનો બચાવજ કરીને બેસી રહેતા નહોતા. ચઢાઈનું ધોરણ હાથ ધરીને તેમણે આપણા વૈભવશાળી ધર્મનો અનેક દેશમાં પ્રચાર કરેલો છે. પોતાની ન્યાતનું જ કે પ્રાંતનું જ માત્ર અભિમાન ધરીને આપણે એક નાના પાંજરામાં ભરાઈ રહીશું કે અન્ય પ્રજાની વિચારસૃષ્ટિમાં વિચરીને ભારતવર્ષના કલ્યાણને માટે તેમના ઉપર આપણા ધર્મની ઉંડી છાપ પાડીશું? હિંદનો પુનરોદ્ધાર કરવાને તેની સઘળી શક્તિઓને એકત્ર કરવી જોઈએ. આ સઘળું કરવાને માટે જ મેં સંન્યાસ લીધેલો છે.”

સ્વામીજીના વિચારોએ શ્રોતાઓ ઉપર પ્રબળ અસર કરી અને સ્વામીજીને પાશ્ચાત્ય પ્રદેશોની મુસાફરી માટે સઘળાઓએ બહુજ યોગ્ય સમજીને ખર્ચ માટે તેમણે ફંડ ઉઘરાવ્યું, પરંતુ કુંડમાં માત્ર પાંચસો રૂપિયાજ એકઠા થયા.

એ જોઇને સ્વામીજી પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે “ભાઈઓ ! માતાજીની ઈચ્છા ઉપરજ મેં સર્વ આધાર રાખેલો છે. જ્યારે તેની મરજી થશે કે મારે પશ્ચિમમાં જવું ત્યારે જરૂરી દ્રવ્ય એની મેળેજ આવી મળશે. માતાજીની સ્પષ્ટ ઇચ્છા જાણ્યા સિવાય પગલું ભરવું નહિ. માટે આ રૂપિઆ ગરિબોને વહેંચી આપો.” સ્વામીજીની આજ્ઞા પ્રમાણે શિષ્યોએ તે રકમ ગરીબોને વહેંચી આપી.