શક્તિમાન છે.” જ્યારે તેમના ઉપર સખત ટીકાઓ થતી
ત્યારે તે માત્ર પ્રભુનેજ યાદ કરતા. તેઓ શાંત અને વિચારવંત
દેખાતા; મુખથી “શિવ, શિવ,” કહેતા; મનુષ્યો પોતાના સ્વાર્થમાં
કેટલા બધા અંધ બની રહેલા છે તે જોઈને તેમની પ્રત્યે દયા ધરતા.
કોઈ વખતે તે એમ પણ કહેતા કે “ટીકા કરનારના શબ્દો પણ
પ્રભુનાજ શબ્દો છે.” તેમના મિત્રો ટીકાઓ સાંભળીને ગુસ્સે થાય
તો તેમને તે કહેતા કે “નિંદક અને નિંદ્ય, પ્રશંસક અને પ્રશસ્ત
બંને એકજ છે (એકજ પ્રભુનાં રૂપ છે), એમ આપણે જાણીએ
તો પછી ગુસ્સે થવાનું કારણ શું ? શ્રીરામકૃષ્ણ પોતાની જાતને
થયેલો તિરસ્કાર કદી ગણતા નહિ. સારું અને ખોટું સર્વ
માતાજીમાંથીજ નીકળે છે.”
પહેલાં જે અમેરિકનો વેદાન્તને કે બહારના કોઈ પણ ધર્મને માત્ર વ્હેમની જાળજ ગણતા હતા અને ખ્રિસ્તી પાદરીઓએ હિંદુસ્તાન અને તેના ધર્મ વિષે અનેક ખોટી વાતો જેમના મનમાં ઠસાવી દીધી હતી તેઓ હવે ભારતવર્ષના આ પવિત્ર સાધુનાં ભાષણોથી ખરી હકીકત જાણીને હિંદ તેમજ વેદાન્ત તરફ પૂજ્યભાવથી જોઈ રહ્યા હતા. અત્યારે પણ ઘણા યુરોપિઅનો અને અમેરિકનો વેદાન્ત ધર્મના અનુયાયીઓ બની રહેલા છે, અને હિંદુ ધર્મ પાશ્ચાત્યોના હૃદયમાં જગતમાંના એક મહાન ધર્મ તરીકેનું માન મેળવી રહ્યો છે. આવા શુભ પરિવર્તનને માટેનું સઘળું માન આપણા ધર્મધુરંધર વીર વિવેકાનંદનેજ ઘટે છે.
વળી અમેરિકનોએ સ્વામીજીની યોગ્ય કદર કરી અને સ્વામીજી પ્રત્યે તેઓ અત્યંત સન્માન અને આતિથ્યની લાગણીથી વર્ત્યા તેને માટે તેઓ પણ પ્રશંસાને પાત્ર છે. અમેરિકનોનું વર્તન આપણને બોધ આપે છે કે આપણે આપણા ધાર્મિક વીરપુરૂષો તરફ કેવી રીતે