પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સહાયભૂત થઈ રહેશે.”

ઈંગ્લાંડમાં સ્વામીજી આ પ્રમાણે પોતાનું કાર્ય કરી રહ્યા હતા અને હિંદુસ્થાન તરફ જવાના વિચાર કરી રહ્યા હતા, પરંતુ એટલામાં અમેરિકાથી અનેક કાગળો તેમના ઉપર આવવા લાગ્યા. અમેરિકામાં વેદાન્તના જિજ્ઞાસુઓની સંખ્યા વધતી જતી હતી અને તેથી કરીને તેમના મિત્ર અને સ્નેહીઓ તેમને ત્યાં પાછા લાવી રહ્યા હતા. એક તરફ અમેરિકન મિત્રો અમેરિકામાં આવવાની અરજ કરી રહ્યા હતા અને બીજી તરફ અંગ્રેજ મિત્રો લંડનમાં હમેશને માટે રહેવાની સ્વામીજીને પ્રાર્થના કરી રહ્યા હતા. ઈંગ્લાંડમાં વેદાન્તના સિદ્ધાંતોનાં બીજ રોપાઈ ચુક્યાં હતાં. તેમને હવે તેમની મેળેજ ઉગી નીકળવાને થોડોક અવકાશ આપવો એવો વિચાર સ્વામીજીને થયો; ફરીથી પાછા આવવાનું સ્વામીજીએ સર્વેને વચન આપ્યું અને તે પાછા અમેરિકા જવાને નીકળ્યા.

વિવેકાનંદની ઈંગ્લાંડની મુલાકાતે સાબીત કરી આપ્યું છે કે ઘણા વિચારવંત અને સુશિક્ષિત અંગ્રેજો વેદાન્તનો બોધ ગ્રહણ કરવાને તત્પર છે; અને જડવાદથી તેમજ ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતથી તેમની આંતરિક ઉચ્ચ વૃત્તિઓને સંતોષ મળતો નથી. સ્વામીજીના વર્ગોમાં જુદા જુદા દરજ્જાના જે પુષ્કળ અંગ્રેજો આવતા તેમાંના ઘણાના મનમાં નિશ્ચય થઈ જતો કે તેમનું જીવન સત્ય માર્ગે વહી રહેલું નથી. સત્ય જીવન તો આત્માના વિકાશમાં અને આત્મા પરમાત્માની એકતા સાધવામાંજ રહેલું હોઇને તે સત્ય જ્ઞાનની પ્રાપ્તિ કરવાને તેમણે ભારતવર્ષ તરફજ જોવાનું છે.