આવે છે. અહીંઆંથીજ કેળવાઈને રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ
ઉપદેશકો તરીકે બહાર આવે છે. પૌર્વાત્ય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં
તેમજ સાહિત્ય અને વિજ્ઞાનશાસ્ત્ર વગેરે વિષયોમાં અહીંજ તેમને
પ્રવીણ કરવામાં આવે છે. વૈરાગ્યની મહત્તા અને તેનો ખરો જુસ્સો
તેમને અહીંઆં સમજાવવામાં આવે છે. પશ્ચિમમાંથી સ્વામીજીના
શિષ્યો તરીકે હિંદમાં આવી વસેલાં સ્ત્રી પુરૂષોનો વૈરાગ્ય જોઇને ઘણા
મનુષ્યો આશ્ચર્ય પામે છે. ભોગવિલાસની અને જડવાદની ભૂમિમાં
જન્મેલાં અને ત્યાંજ ઉછરેલાં પાશ્ચાત્ય મનુષ્યોને સંન્યાસી તરીકે
હિંદમાં જીવન ગાળી રહેલાં જોઇને ઘણાને આશ્ચર્ય થાય તેવું છે.
તેઓ હિંદુઓ પ્રમાણેજ રહેવા લાગ્યા છે.
તેમનું ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, સર્વ હિંદુઓની માફકજ થઈ રહેલું છે. હિંદુ ધર્મના સિદ્ધાંતોનું ઉંડું રહસ્ય સમજી તે પ્રમાણેજ તેઓ પોતાનું જીવન ગાળી રહેલા છે. મીસીસ સેવીઅર તેમાં ઉત્તમપદે વિરાજે છે. તેમનું જીવન તેમના ગુરૂ વિવેકાનંદની વિદ્યા અને વૈરાગ્યનો પ્રૌઢ પ્રતાપ દર્શાવી રહ્યું છે. સ્વામીજીના બોધથી પાશ્ચાત્યો ભિન્નભાવને ભૂલી ભારતવર્ષના કલ્યાણને માટે સ્વામીજીના પૌર્વાત્ય શિષ્યો સાથે અનેક કાર્યો કરી રહ્યા છે. પાશ્ચાત્ય અને પૌવાર્ત્ય શિષ્યોને એ સ્થળે એકઠા રહેતા, એક બીજાની સાથે હસતા, બોલતા, બેસતા, ઉઠતા અને વિચારોની આપ લે કરતા જોઇને બહુજ આનંદ થાય તેમ છે.
સ્વામીજીના બોધથી આકર્ષાઇને ધણા સદ્ગૃહસ્થો અમેરિકાથી એ સ્થળે આવીને રહેલા છે અને હજી પણ આવીને બ્રહ્મચારી તરીકે જીવન ગાળે છે. હિંદના પણ ઘણા પ્રતિષ્ઠિત પુરૂષો જેવા કે આનંદમોહન બોઝ, વિજ્ઞાનશાસ્ત્રી જગદીશચંદ્ર બોઝ વગેરે પણ અહીંઆં વખતો વખત આવીને સંન્યાસીઓ સાથે પરમ શાંતિમાં