પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૫
સ્વામીજીના પાશ્ચાત્ય શિષ્ય.


થોડો ઘણો સમય ગાળી જાય છે. સર્વેની સુશ્રુષા મીસીસ સેવીઅર માતાજી ઘણા ભાવથી કરે છે.

વળી એક પ્રખ્યાત અમેરિકન સ્ત્રી જેનું નામ મિસીસ ઓલબુલ હતું તે પણ સ્વામીજીનાં શિષ્યા તરીકે હિંદુસ્તાનમાં આવ્યાં હતાં. અમેરિકામાં તેમનું નામ વિદ્યા અને પરોપકારને માટે ઘણું જ પ્રસિદ્ધ હતું. અમેરિકન સમાજમાં તેમનું સ્થાન બહુજ શ્રેષ્ઠ હતું. પોતાને ઘેર તેઓ વખતોવખત દેશવિદેશના પંડિતોને એકઠાં કરતાં. પ્રથમથીજ તેમણે સ્વામીજીને ઘણી સહાય આપી હતી. કલકત્તામાં બેલુર મઠ બાંધવામાં દ્રવ્યની મુખ્ય મદદ તેમણેજ કરી હતી. વળી ભારતવર્ષનાં બીજાં અનેક કાર્યોમાં પણ તે મદદ આપી રહ્યાં હતાં. બહેન નિવેદિતાની શાળાને ઘણે ભાગે તેમણેજ નિભાવી હતી.

બેલુર મઠની સઘળી જમીન ખરીદવાને જોઇતા પૈસા મિસ હેનરીએટા મુલરે આપ્યા હતા. તે શિષ્યાએ ઈંગ્લાંડમાં પણ સ્વામીજીને ઘણી મદદ કરી હતી. મિસ મુલર એક ધનાઢ્ય સદ્‌ગૃહસ્થની પુત્રી હોઇને તેમની પોતાની પાસે પુષ્કળ દ્રવ્ય હતું; છતાં પણ તેમની વૃત્તિ સાધુ જેવી હતી અને તેમનું હૃદય પરોપકારશીલ અને ધાર્મિક હતું. ધર્મના વિશાળ સિદ્ધાંતોને તે શોધી રહેલાં હતાં. તેમના જેવા હૃદયને સ્વામીજીનો ઉદાત્ત તત્ત્વોથી ભરેલો બોધ પ્રિય થઈ પડે તેમાં નવાઈ શી ? સ્વામીજીનું ચારિત્ર્ય, તેમની ધાર્મિક વૃત્તિઓને અનુકુળ લાગ્યું. વેદાન્તનો બોધ ગ્રહણ કર્યા પછી સંન્યાસ લેવાને તે તૈયાર થઈ ગયાં હતાં, પણ સ્વામીજીએ તેમને સંસારમાં રહીનેજ જગતની સેવા કરવાની સલાહ આપવાથી તે પ્રકારે રહીને સ્વામીજીના કાર્યમાં અનેક પ્રકારે મદદ કરી રહ્યાં હતાં. હિંદમાં પણ તે આવ્યાં હતાં. તે હમેશાં કહેતાં કે સ્વામીજીના કાર્યને મજબૂત પાયા ઉપર મૂકવાને માટેજ મારો જન્મ છે.