પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


મી. સ્ટર્ડી નામના અંગ્રેજ ગૃહસ્થ સ્વામીજીના અનુયાયી છે. ઈંગ્લાંડમાં વેદાન્તનો પ્રચાર કરવામાં તે ઘણી મદદ કરી રહેલા છે. તેમનાજ આમંત્રણથી સ્વામીજી ઇંગ્લાંડ ગયા હતા અને તેમને ત્યાં જ પ્રથમ અતિથિ તરીકે રહ્યા હતા. સ્વામીજીનાં ભાષણોની ગોઠવણ પણ તેમણેજ કરી હતી. હિંદમાં આવીને એક સાધુ તરીકે તે હિમાલયમાં રહ્યા હતા અને પૂર્વની વિદ્યાના પ્રચારમાં ઘણો રસભર્યો ભાગ લઈ રહ્યા હતા. પ્રથમ તે થીઓસોફીકલ સોસાયટીના સભાસદ હતા, પણ સ્વામીજીને મળ્યા પછી તે તેમના અનુયાયી બન્યા હતા. લંડનમાં સ્વામીજીએ જે ભાષણો આપ્યાં હતાં તે સઘળાં મી. સ્ટર્ડીના પ્રયાસથીજ પ્રસિદ્ધિમાં આવેલાં છે. દ્રવ્યની સહાય પણ તેમણે ઘણી કરી હતી. અત્યારે પણ મી. સ્ટર્ડી વેદાન્તનો પ્રચાર કરવામાં ઘણી સહાય કરી રહેલા છે.

સ્વામીજીના સઘળા શિષ્યો અને મિત્રોનું વર્ણન આપવું અશક્ય છે. ઘણા અંગ્રેજો અને અમેરિકનો તેમના શિષ્યો થઈ રહ્યા હતા અને બીજા ઘણા તેમની સાથે મિત્રાચારીનો ગાઢ સંબંધ બાંધી રહ્યા હતા. સ્વામીજીના શિષ્યો અને મિત્રો વચ્ચે એક પ્રકારનો ગાઢ સંબંધ બંધાઈ રહ્યો હતો. તેઓ જાણે કે એકજ કુટુંબનાં માણસો હોય તેમ એક બીજાની સાથે વર્તી રહ્યાં હતાં. ન્યુયૉર્ક, કેલીફોર્નીઆ, લંડન અને પેરીસમાં અસંખ્ય મનુષ્યો સ્વામીજીનો બોધ ગ્રહીને તેમના તરફ પૂજ્યભાવ રાખી રહ્યાં હતાં. અત્યારે પણ તેમનાં મકાનોમાં સ્વામીજીની છબી પૂજાય છે અને તેમનાં પુસ્તકોનું અત્યંત ભાવથી અધ્યયન થાય છે.