પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ઉપર આમ તેમ પર્યટણ કરી રહ્યા હતા. ટેકરીઓ ઉપર ફરતાં સ્વામીજી ઉપનિષદોમાંથી કંઈ કંઈ બોલતા અને તેનો તરજુમો કરીને તેમના મિત્રોને સંભળાવતા.

એક દિવસે પર્વત ઉપરથી ઘર તરફ પાછા ફરતાં એક નાનું દેવાલય સ્વામીજીની દૃષ્ટિએ પડ્યું. પર્વતની એક નાની ટેકરી ઉપર તે આવેલું હતું. તેને જોઈને સ્વામીજી બોલ્યા કે, “ચાલો આપણે પવિત્ર કન્યા મેરીનાં ચરણની પૂજા કરીએ.” તે વખતે તેમના મુખ ઉપર અત્યંત મૃદુતા વ્યાપી રહેલી જણાતી હતી. તેમણે પર્વત ઉપરથી કેટલાંક ફુલ એકઠાં કર્યા અને તે મીસીસ સેવીઅરને આપીને સ્વામીજી બોલ્યા: “મેરીનાં ચરણ કમળ આગળ આ પુષ્પોને અર્પણ કરી દ્યો. મારી ભક્તિની તે નિશાની છે.”

સ્વીટઝરલાંડમાં આવેલા એક ગામડામાં સ્વામીજી અને તેમના મિત્રો રહેતા હતા. ત્યાં તેમને એક જરૂરી પત્ર મળ્યો. કીલ યુનિવર્સિટિમાં તત્વજ્ઞાનના પ્રોફેસર અને સંસ્કૃતના પંડિત તરીકે પ્રખ્યાત થઈ રહેલા પૉલ ડ્યુસને તે પત્ર મોકલ્યો હતો. સ્વામીજીને તેમણે કીલમાં પોતાને ઘેર તેડાવ્યા હતા. એ વિદ્વાન પ્રોફેસરે સ્વામીજીનાં ભાષણો અને કથનોનોના અભ્યાસ કર્યો હતો અને તેમની ખાત્રી થઈ હતી કે તે એક મોટા સ્વતંત્ર વિચારક છે અને અધ્યાત્મ વિદ્યાનું ઘણું ઉંડું જ્ઞાન ધરાવે છે. પૉલ ડ્યુસન વેદાન્તના વિષયમાં ઘણોજ રસ લેતા હતા. હિંદુસ્તાનમાં તે મુસાફરી કરી આવ્યા હતા. સ્વામીજી જેવા એક મહાન ઉપદેશકને મળવાની અને તેમની સાથે વાદવિવાદ કરવાની તે હવે ઈચ્છા કરી રહ્યા હતા. પ્રોફેસરના આમંત્રણથી સ્વામીજી કીલ ગયા અને પૉલ ડ્યુસનના અતિથિ થઈને રહ્યા. એ બે પંડિતોની મુલાકાતનું વર્ણન મીસીસ સેવીએરે નીચે પ્રમાણે આપેલું છે:—