પવિત્ર પગલાં પ્રથમ મૂકવામાં આવ્યાં હતાં, તા. ૨૭ જાન્યુઆરી સને ૧૮૮૭.”
તે દિવસે સાયંકાળે સ્વામીજી અને તેમના શિષ્યો રામનદ ગયા. ત્યાં તેમને ભારે માન આપવામાં આવ્યું. તેમના માનમાં કહાડેલા સરઘસમાં રાજા જાતે પગે ચાલીને બંદોબસ્ત રાખતા હતા. પછી એક ભવ્ય મકાનમાં તેમને માનપત્ર આપવામાં આવ્યું. માનપત્રનો જવાબ આપતાં સ્વામીજીએ કહ્યું કે, “આ જગતમાં દરેક પ્રજા અમુક કાર્ય કરવાને માટેજ સરજાયલી છે. દરેક પ્રજાનાં ખાસ લક્ષણો હોય છે. ખાસ ગુણોને તે જન્મથીજ પ્રાપ્ત કરી રહેલી હોય છે. એ ગુણો અને લક્ષણોનો વિકાસ કરવામાં જ તેનું જીવન રહેલું છે. પ્રજાકિય જીવનનું સત્વ, મૂળ અને આધાર તેમાંજ રહેલાં છે. ભારતવર્ષનું જીવન જ “ધર્મ” છે. તે ધર્મને–પ્રજા સત્વને હણશો તો પ્રજા પોતેજ નષ્ટ થશે. પાશ્ચાત્ય સંસ્કૃતિ ભલે તમને અદ્ભુત અને પ્રકાશમય લાગે, પણ તેની પ્રગતિ ભૌતિક છે, તે મિથ્યા છે, એક પ્રભુજ ખરો છે. એક આત્માજ સત્ય વસ્તુ છે.”
પાશ્ચાત્ય સંસ્કૃતિને સ્વામીજી વખોડતા હતા; પણ તેમાં જે કેટલાંક ઉત્તમ તત્ત્વો રહેલાં છે તે દર્શાવવાનું અને તેમાં જે કંઈ શ્રેષ્ઠ લાગે તેને અનુસરવાનું કહ્યા વગર તેઓ રહેતા નહિ. વળી જુના અને નવા વિચારવાળા બંને પ્રકારના હિંદુઓમાં રહેલી ખામીઓ પણ તેઓ સમજતા. પરદેશીઓનું અનુકરણ કરી રહેલા નવા વિચારના મનુષ્યો કરતાં સ્વામીજી જુના વિચારના વૃદ્ધ મનુષ્યોને વધારે પસંદ કરતા. તેમના એ વિષેના વિચારો નીચે પ્રમાણે હતા.
“પરદેશીઓનું અનુકરણ કરી રહેલા મનુષ્યો કરતાં જુના વિચારના વૃદ્ધ મનુષ્યોને હું વધારે પસંદ કરૂંછું; કારણ કે જુના વિચારનો વૃદ્ધ ગમે તો આપણી દૃષ્ટિએ અભણ હશે, વિચિત્ર હશે, પણ