પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૩
મદ્રાસમાં અપૂર્વ માન.


સ્વામીજીએ પોતાના બીજા ભાષણમાં વેદાન્ત એટલે શું ? વેદાન્ત ધર્મ કયો કહેવાય ? વગેરે સમજાવ્યું છે. કેટલાક મનુષ્યોને ઉપનિષદોના સિદ્ધાંતોમાં પરસ્પર વિરોધ ભાસે છે. તેમના મતનું ખંડન કરવાને અને તેમની એકવાક્યતા પ્રતિપાદન કરવાને સ્વામીજી સર્વને કહી રહ્યા હતા કે, “દ્વૈતવાદીએ અને અદ્વૈતવાદીએ પરસ્પર વિરોધ કરવો ન જોઈએ. ભારતવર્ષના પ્રજાકીય જીવનમાં બંનેને માટે અગત્યનું સ્થાન છે. અદ્વૈતવાદીની માફક દ્વૈતવાદી પણ પ્રજાના ધાર્મિક જીવનનોજ એક ભાગ છે અને બંને એક બીજા માટે ઉપકારક હોઈને એકના વગર બીજો રહી શકેજ નહિ. ભારતવર્ષનો ધર્મ એક મહેલ જેવો છે. અદ્વૈતવાદ તે મહેલનું શિખર છે અને દ્વૈતવાદ તેનો પાયો છે. દ્વૈતવાદ માનવ જીવનરૂપી વૃક્ષનું મૂળ છે અને અદ્વૈતવાદ તે વૃક્ષનું ઉત્તમ ફળ છે.”

સ્વામી વિવેકાનંદ શ્રીમદ્ શંકરાચાર્યના અનુયાયી હતા તો પણ કેટલીક બાબતોમાં તે શ્રીરામાનુજને વધારે પસંદ કરતા. સ્વામીજીએ પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે:—

“શ્રીમત્‌ શંકરાચાર્યમાં અગાધ બુદ્ધિ હતી, પણ હું બ્હીતો બ્હીતો કહું છું કે રામાનુજનું હૃદય વધારે વિશાળ હતું. તેમને દુઃખી મનુષ્યોને માટે બહુ સહાનુભૂતિ હતી. તેમણે ધાર્મિક ક્રિયાઓ તરફ લક્ષ આપી તેને બને તેટલી સાદી અને શુદ્ધ બનાવી હતી તેમજ કેટલીક તેવી નવી ક્રિયાઓ પણ સ્થાપિત કરી હતી. લોકોને માટે તેમણે પૂજાના નવીન માર્ગો શોધી કહાડ્યા હતા. લોકોને તેમની જરૂર હતી. વળી બ્રાહ્મણથી તે અસ્પર્શ્ય સુધીના સર્વને ઉંચી ધાર્મિક પૂજા કરવાની છૂટ તેમણે આપી હતી.”

ઉપષિદો વિષે બોલતાં સ્વામીજીએ જણાવ્યું કે ઉપનિષદોનું સાહિત્ય સર્વોત્તમ છે. તેમાં સમાઈ રહેલું તત્ત્વજ્ઞાન સર્વોપરી છે.