પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૩
મદ્રાસમાં અપૂર્વ માન.


“ભૂતકાળમાંથીજ ભવિષ્યકાળ ઘડાશે, માટે તમારાથી બને તેટલી દૂર દૃષ્ટિ તમારા ઉજ્જવળ ભૂતકાળ ઉપર નાંખો; કેમકે જીવનને ટકાવનારાં નિત્ય સત્યોના પ્રવાહો તેમાં વહી રહેલા છે. એ સત્યોનું પુષ્કળ પાન કરો અને પછી વર્તમાન તેમજ ભવિષ્યકાળ તરફ દૃષ્ટિ ફેરવી આગળ ધસો. હિંદને વધારે કીર્તિવંત, વધારે ભવ્ય અને પ્રકાશિત બનાવો. આપણા પૂર્વજો કેવા પુરૂષાર્થી અને યશસ્વી હતા એ આપણે પ્રથમ જાણવું જોઈએ અને પછી કયાં કયાં તત્ત્વોનું આપણું જીવન બનેલું છે; આપણી નસોમાં કયા પ્રકારનું લોહી વહી રહેલું છે, તે સઘળું આપણે જાણવું જોઈએ. આપણાં જીવન તત્ત્વોમાં અને પૂર્વજોના લોહીમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એ તત્ત્વોએ ભૂતકાળમાં જે મહાન કાર્યો કરેલાં છે તેમાં શ્રદ્ધા રાખીને તેમજ પ્રાચીન ગૌરવનું ભાન હૃદયમાં જાગૃત રાખીને ભાવી હિંદને આપણે વધારે યશસ્વી બનાવવા મથવું જોઈએ. આપણી પવિત્ર દંતકથાઓ અને આપણા ધર્મની ભાવનાઓ ઉપર ભાવી હિંદની ઇમારત ચણાવી જોઇએ. યૂરોપમાં રાજ્ય વિષયક બાબતોથીજ પ્રજામાં સંપ ઉત્પન્ન થાય છે અને ટકે છે; ત્યારે એશિઆમાં સંપનું મૂળ ધાર્મિક બાબતોમાંજ રહેલું છે. માટે હિંદમાં પ્રથમ ધાર્મિક ચેતના આવવાની જરૂર છે.” ધાર્મિક ચેતના એટલે શું ? સઘળા હિંદુઓ જાણે છે કે તેમના ધર્મમાં એવાં સર્વમાન્ય નિત્ય સત્યો રહેલાં છે કે જે સત્યો હિંદુઓના સઘળા ગ્રંથો અને સમાજોને માન્ય છે. એ નિત્ય અને જીવનપોષક સત્યોને દરેક પુરુષ, સ્ત્રી અને બાળક સમજે અને રગે રગમાં ઉતારે તો સર્વ અનિષ્ટો દૂર થઈ જઈને સર્વત્ર ધાર્મિક એકતા દૃશ્યમાન થઈ રહે, એમ સ્વામીજીનું દૃઢપણે માનવું હતું.

સ્વામીજીએ મદ્રાસમાં જે ભાષણો આપ્યાં હતાં તે ખાસ કરીને