પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૫
નૈનિતાલ, આલમોરા વગેરે સ્થળમાં.


સ્વામીજીની સંનિધિમાં રહેવું એ આત્માના ઉંડા પ્રદેશમાં વિચરવા જેવું હતું. આત્માની ઉચ્ચ વૃત્તિઓ, તેની વિશાળતા અને મહત્તાના આવિર્ભાવરૂપજ સ્વામીજીનું જીવન હતું. એ જીવનમાં આત્માના ઉંડા ભાવ દૃશ્યમાન થતા હતા. એ જીવનનું ચલન વલન વગેરે આત્માનીજ ક્રિયાઓ દાખવી રહ્યું હતું. જ્યાં જીવભાવ હોય ત્યાંજ અમુક વ્યવસ્થા કે યોજના કરવાની હોય; જ્યાં સર્વાત્મભાવ પ્રગટી રહેલો હોય ત્યાં અમુક વ્યવસ્થા કે યોજનાને અવકાશજ નથી. એવા જીવનમાં તો સ્ફુરણાઓ–પ્રભુપ્રેરણાઓજ–પ્રધાનપદ ભોગવી રહેલી હોય છે. તે કોઈપણ સમયે ઉદભવે અને એ પ્રમાણે તે વ્યક્તિનું મહાજીવન દોરાય, એને વ્યવસ્થા કે યોજનારૂપી કશુંજ બંધન હોતું નથી. એવા મહાત્માઓનાં જીવનને આપણાં શાસ્ત્રો સુક્કાં પાંદડાની ઉપમા આપે છે. ખરી પડેલું સુક્કું પાંદડું પવનથી જેમ ગમે ત્યાં ઘસડાઈ જાય છે તેમ મહાત્માઓનું મન અને શરીર કોઈપણ સમયે કોઈપણ સ્થળ વા કાર્ય તરફ દોરાઈ જાય છે. સ્વામીજીના પાશ્ચાત્ય શિષ્યોને હવે સમજાયું કે સ્વામીજીનું જીવન વ્યવસ્થા શૂન્ય નથી, પણ તે વ્યવસ્થા-નિયમથી પર છે. હવે તેમને માલમ પડ્યું કે વૈરાગ્ય અને અભ્યાસનું સતત અવલંબન કરવાથીજ મનુષ્ય એ દશાને પ્રાપ્ત કરી શકે છે. વળી તેમને સમજાયું કે ખરેખર એકાંતવાસ અને મૌનવૃત એ પણ આત્મવિકાસનાં અતિ સહાયક સાધનો છે. સ્વામીજી કહેતા કે “પૌવાર્ત્યો અને પાશ્ચાત્યોની વિચારપદ્ધતિમાં મોટો ફેરફાર અહીંઆંજ જણાઈ આવે છે. યૂરોપિઅનો એમ ધારે છે કે વીસ વર્ષ સુધી એકાંતમાં રહેનાર મનુષ્ય ગાંડો થઈ ગયા વગર રહેતો નથી; અને હિંદુઓ ધારે છે કે જ્યાંસુધી મનુષ્ય વીસેક વર્ષ એકાંતવાસ ભોગવતો નથી ત્યાં સુધી તે સંપૂર્ણ મનુષ્યત્વ પ્રાપ્ત કરતો નથી.”

કાશ્મીરમાં સ્વામીજી પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવા લાગ્યા;