અંતઃકરણની લાગણીથી નીકળી રહ્યા હતા. નાગમહાશયનો ભાવ વર્ણવો મુશ્કેલ છે. જે મનુષ્યો તે મુલાકાત વખતે હાજર હતા તેઓજ જાણે છે કે એ બંને મહાપુરૂષો એક બીજાને માટે કેટલી લાગણી ધરાવતા હતા અને તેઓ એક બીજાને કેવા ઉપયોગી સમજતા હતા. મહાપુરૂષોજ મહાપુરૂષોની યથાર્થ મહત્તા સમજી શકે છે. સામાન્ય મનુષ્યોને તેનો પુરેપુરો ખ્યાલ હોતો નથી. નાગમહાશય પોતાના વિચારોને એવા ભાવથી દર્શાવતા કે શ્રોતાઓ તેમની વાણીથી ગળગળા થઈ જતા અને અશ્રુપાત પણ કરતા. સ્વામી વિવેકાનંદને તે શિવનો અવતાર માનતા અને તેથી કરીને તેમના વિષે જે શબ્દો તે ઉચ્ચારતા તે અંતઃકરણના પુરા ભાવથીજ બહાર આવીને શ્રોતાઓનાં હૃદયમાં કોતરાઈ જતા. એકવાર તેમને પૂછવામાં આવ્યું હતું કે “શ્રીરામકૃષ્ણ ભગવાનનો અવતાર હતા કે નહિ ?” જવાબમાં તેમણે કહ્યું હતું કે “શ્રીરામકૃષ્ણની તો વાત જ શી ! હું તેમના દરેક શિષ્યને પ્રભુનોજ અવતાર ગણું છું.”
એકવાર શ્રીમતી સરલાદેવી બી. એ. ના સાંભળવામાં આવ્યું કે સ્વામીજી ઘણી સારી રસોઈ કરી શકે છે. તેમણે તે વાત નિવેદિતાને કહી. સ્વામીજીને એ વાતની ખબર પડી એટલે તેમણે બંનેને મઠમાં જમવાને વાસ્તે બોલાવ્યાં અને પોતાને હાથે સારી સારી વસ્તુઓ બનાવીને તેમને જમાડ્યાં. તેમની સાથે વાત કરતે કરતે સ્વામીજીએ નિવેદિતાને કંઈક કામ બતાવ્યું. નિવેદિતાએ તે કામને પોતાની ફરજ અને ગુરૂની સેવા સમજીને ઘણીજ રાજી ખુશીથી કરવા માંડ્યું. સરલાદેવીના ગયા પછી સ્વામીજી સર્વેને કહેવા લાગ્યા કે “એજ સમયે નિવેદિતાની પાસે કામ કરાવવાનું કારણ એ હતું કે કલકત્તામાં કેટલાંક શિક્ષિત સ્ત્રીપુરૂષોનું માનવું એવું છે કે અંગ્રેજોનાં વખાણ કરીને અને તેમના કહ્યા પ્રમાણે ચાલીને જ મેં તેમને શિષ્ય બનાવ્યા