પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૫૯ મું – મહાસમાધિ.

સ્વામી વિવેકાનંદ મહાસમાધિને પ્રાપ્ત થયા તે અગાઉ લગભગ દોઢેક વર્ષ સુધી મઠમાં જે જે બનાવો બન્યા તે સર્વે ઘણાજ રસમય અને અગત્યના હતા. તે સર્વેમાં સ્વામીજીનો આત્મા પરોવાઈ રહેલો જણાતો. સ્વામીજી બહાર વિચરતા તેના કરતાં મઠમાં તેઓ વધારે સ્પષ્ટ સ્વરૂપમાં દૃશ્યમાન થતા હતા; કેમકે સાધુ તરિકેનું ખરેખરું જીવન સ્વામીજી અહીં વધારે છુટથી ગાળી શકતા. જેમ જેમ તેમની મહાસમાધિના દિવસો પાસે આવતા ગયા તેમ તેમ તેઓ સંન્યાસની મહત્તા વધારેને વધારેજ દાખવતા ચાલ્યા.

સ્વામીજી પૂર્વ બંગાળા અને આસામ તરફ જઈ આવ્યા તે પછી તેમનું શરીર વધારે બગડતું ચાલ્યું. તેમને જલંદરનો વ્યાધિ થયા હતા. તેમના પગ પણ હવે ફુલી ગયા હતા અને તેથી ચાલતાં ઘણી મુશ્કેલી પડતી હતી. તેમની જીંદગીના છેલ્લા વરસમાં તેમને ફક્ત ત્રણ કે ચાર કલાકજ ઉંઘ આવતી અને તે પણ બરાબર નહિ. આટલું છતાં પણ સ્વામીજી એક ખરેખરા સંન્યાસીની માફક જરાક પણ ઉં કે ચું કર્યા વગર પોતાનું કાર્ય કર્યે જતા. મિત્રો અને સ્નેહીઓની મુલાકાત તેઓ લેતા અને તેમની સાથે ઘણાજ આનંદ અને જુસ્સાથી વાતચીત કરતા.

સને ૧૯૦૧ ના જુલાઈ અને ઑગસ્ટ માસમાં સ્વામીજી કાંઈક વધારે આરામ લઈ શક્યા અને તેથી તેમનું શરીર પણ કંઈક સુધર્યું. સાંજે અને સવારે હવે તે બહાર ફરવા જતા અને સાથે તેમના એકાદ બે ગુરૂભાઇઓ પણ જતા. કેટલીકવાર સ્વામીજી તેમની સાથે ગંભીર વિષય ઉપર વાતચીત કરતા, પણ ઘણુંખરું તો તે ગુરૂભાઈઓને પાછળ રાખી વિચારમાં ને વિચારમાં એકલાજ આગળ ચાલ્યા જતા. ગુરૂભાઈઓ પણ તેમના મનની સ્થિતિ સમજી જઈને તેમને એકલાજ ફરવા દેતા.