આગ્રહને લીધે જ વીણાએ વગાડવાનું ને ગાવાનું કબૂલ કર્યું હતું. કિશોરીલાલ અને એની પત્નીએ વીણાને બહાર પાડવાને-ભૂજંગલાલની નજરમાં લાવવાનો આ સારો પ્રસંગ છે એમ માની વીણાને ગાવા કહ્યું અને વીણાએ સંગીત ઉપાડ્યું.
'પૂછશો મા કઈ પૂછશો મા [૧]
મ્હારા હૈયાની વાતડી પુછશે મા.
દિલના દરિયાવ મહી કાંઈ કાંઈ મોતી
ગોતી ગોતીને ત્હેને ચુંથશો મા
મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.
ટહુકે છે કોકીલા, પુકારે છે પપૈયા
કારણોના કામીને સુઝશો મા–
મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.
આંસુનાં નીર કે આશાના અક્ષરો
આછા આછા હોય લુછશો મા
મ્હારા હૈયાની વાતડી પુછશે મા.
જગના જોદ્ધા ! એક આટલું સૂણી જજો
પ્રારબ્ધનાં પૂર સ્હામે ઝૂઝશો મા–
મ્હારા હૈયાની વાતડી પૂછશે મા.'
સંગીત ચાલતું હતું. હૈયાને હલમલાવી નાખે એવો રાગ, હાર્મોનીયમનો મધુર સૂર, વીણાની ગાવાની હલક, કાવ્યના ભાવની વીણાના મ્હો ઉપર થતી અસર અને શાન્ત ચંદની એ સર્વ સાંભળનારને તલ્લીન કરવા બસ હતાં. ભૂજંગલાલ-ભૂજંગ સાપ મોરલીના નાદની સાથે નાચતો હતો. આ વીણા ! આ તો વીણા સ્ત્રી છે કે સરસ્વતીદેવીની વીણાએ જ સ્ત્રીરૂપ લીધું છે? લીલા– તરલા આની આગળ શી વિસાતમાં ? હું કેવો મૂર્ખ કે જગતમાં આવું રત્ન છતાં લીલા-તરલા
- ↑ ૧. કવિ ન્હાનાલાલ.