પૃષ્ઠ:Tarlaa.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૦
તરલા અથવા ઉર્મિનો આવેગ


આ શબ્દ હજી વસન્તલાલની જીભ ઉપર છે ત્યાં બંગલા તરફથી નોકર હાંફલો હાંફલોલે દોડતો આવતો દેખાયો. વસન્તલાલે એકદમ ઉભો રાખ્યો ને પૂછ્યું:

'રામા ! ક્યાં જાય છે? શું છે? આમ ગભરાય છે કેમ?'

રામો ગભરાયો હતા. દોડવાથી એટલો શ્વાસ ચડી ગયો હતો કે એકદમ અટકવાથી અને સુમનલાલ અને વસન્તલાલને જોવાથી બે ધડી બોલી શક્યો જ નહી, ને ત્યાં ને ત્યાં જ બેસી ગયો. રામો બિચારો બોલી શકતો નહોતો ને વસન્તલાલનો જીવ જતો હતો. આખરે રામાએ ગભરાતા ગભરાતા જવાબ દીધો:

'સા...હે...બ! અરવિન્દ ભાઈ.'

'શું છે અરવિન્દ ભાઇનું! બોલની જલ્દી.'

'સા–હે-બ અરવિન્દ ભાઈ આવ્યા છે! ડાક્ટર....'

'મુદ્દાની વાત કહેને ! ટાયેલું જવા દે ને.'

'ડાક્ર સાહેબ કહે છે કે તરલા બહેન નહી જીવે. કલાકમાં સુમનભાઈને બોલાવે...'

'આટલું સાંભળતાં જ વસન્તલાલથી રોવાઈ જવાયું. બિચારી દુઃખી તરલાનો આમ અંત! જે બ્હેન ઉપર મોટી આશા બાંધી હતી તે બ્હેનનો આમ અંત!

'સુમનલાલ! હવે તો આવો! તરલા ઢોંગી હોય કે સાચી હોય, પણ હવે તો તમને હેરાન કરવાની નથી. પછી ફાવે તે કરજો, પણ મોત વખતે એને ક્ષમા આપી એને શાન્તિ આપશો તો અમારા ઉપર ઉપકાર. એ તમને સંભારે છે તો છેલ્લી વાર મ્હોં જોઈ લો.'

સુમનલાલ તરલાને મૃત્યુ પથારી ઉપર છે એ જાણતાં નરમ થયો. એનો ગુસ્સો નાશ પામ્યો અને મુંગો મુંગો વસન્તલાલ સાથે ચાલ્યો.