પૃષ્ઠ:Tarlaa.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૧
મરણ પથારી.


પ્રકરણ ર૩ મું.
મરણ પથારી.

સુમનલાલ બીજાનું દુઃખ જોઈ શકતો નહીં. એનું હૃદય પ્રેમાળ હતું. તરલાના બનાવથી, એ સંબધી આવી પડેલા સંજોગોને લીધે એ ધીરે ધીરે વ્હેમી થયો હતો એટલે તરલા મરવા પડી છે એ વાત એણે માની નહિ. આ તરલાની જ મને બોલાવવાની યુક્તિ–ઢોંગ. પણ મ્હને બોલાવવાથી એને શો લાભ ? જો ભૂજંગલાલને ચહાતી હોય ને એને પરણવા ઈચ્છતી હોય તો મારું શું કામ ? કદાચ મરવા પડી હોય અને મૃત્યુ અને દુઃખથી પીડાઈ પસ્તાવો થતોએ હોય. મારી ક્ષમા માગવા અને પાપમુકત થવા તલસતી હોય. આવે વખતે હું ન જાઉં ને કદાચ મરી જાય તો હું ઘાતકી કહેવાઉં– અરે પાપી થાઉં. પ્રભુ આપણને માફી ના બક્ષે તો કેવું થાય ? અને જન્મભર પસ્તાવાનું થાય. દુશ્મનને પણ અંતકાળે ક્ષમા આપવી જોઈએ તો તરલા તો એક વખતની મ્હારા મનની માલિક -આશાની વેલ હતી. હું જતાં સુધી તો જરૂર એ જીવતી હશે. કદાચ બંગલે પહોંચ્યા પહેલાં ગુજરી ગઈ હશે તો મારા મનથી તો ફરજ બજાવી ગણશે ને.'

આમ વિચારથી સુમનલાલ વસન્તલાલની સાથે વસન્તલાલને બંગલે ગયો. બંગલાનાં પગથીયાં ચડતાં વળી મન પાછું હઠ્યું. 'ના, ના. પાછો જ જાઉં. ઢોંગ હશે તો મ્હારાથી શાન્ત રહેવાશે ખરું ?'

વસન્તલાલ અને સુમનલાલ બંગલામાં પેઠા. છોકરાં-હમેશનાં તોફાની છોકરાં આજ તરલા ફાઈના મંદવાડને ધીધે ગરીબ ગાય જેવાં થઈ બાગના એક ભાગમાં બેઠાં હતાં. બંગલામાં, હૉલમાં પેસતાં વસન્તલાલે નોકરને પૂછ્યું, 'અંદર કોણ કોણ છે ?'

'ડાક્ટર, અરવિન્દભાઈ અને ચંદાબા.'