ને આજ તરલાને પોતાની કરે અને ક્ષમા માગવાથી, અર્ધ આયુષ્ય આપવાથી તરલા જીવશે એમ કોઈ કહે છે તેમ કરવા પણ તે તૈયાર હતો.
ડાક્ટરના હુકમને માન આપી બધાં ખસી ગયાં-કેવળ ચંદા ને ડાકટર બે જ તરલા પાસે બેઠાં. અરવિન્દની સાથે સુમન બીજા ઓરડામાં ગયા ને ત્યાં અરવિન્દના ખભા ઉપર માથું નાખી રોતાં રોતાં બોલ્યો:
'અરવિન્દ ! મને એમ થાય છે કે ચર્ચગેટના પુલ ઉપર છોકરાં આવી ચડ્યાં તે સારું જ થયું, નહી તો હું એને પાપીણી માનતા મરી જાત અને એને દુઃખી કરત. તરલા અહીં આવી છે, . માંદી છે તે હું માનતો જ નહોતો, ને તેમાં વળી વીણાના તારે મ્હને વધારે વ્હેમમાં નાંખ્યો. તરલા ભયંકર મંદવાડમાં છે એ હું માનતો જ નહી-મ્હેં માન્યું જ નહોતું. ઠેઠ બંગલા સુધી યુક્તિ છે એમ ધાર્યું હતું. અંદર પેઠો ત્યાં સુધી એમ જ થતું કે માંદી હોય ને મરી જાય તો સારું. પણ અરવિન્દ હવે પસ્તાઉં છું. કેમે કરતાં જીવે ! ડાક્ટરોએ આશા છોડી છે, અંતકાળ છે, ક્યાંથી જીવે ? હું જ કમનસીબ છું. પણ તરલાને આવી વખત મળી, ક્ષમા આપી મ્હેં મારું કર્તવ્ય કર્યું છે એમ હું માનું છું. મને ખરી શાન્તિ આજ જ થઈ છે. એક નિરાધાર અને પવિત્ર અબળાને અંત વખતે શાન્તિ આપી છે. હવે હું ગમે ત્યાં જઈશ, પણ તરલા–મ્હારી તરલાને તે નહીં જ મળું ને ? આવતે જન્મ તરલા જ આપજો. મને ક્ષમા આપવાનો જે આનંદ મળે છે તે કાયમ રહેજો. તરલાનું જીવનભર સ્મરણ કરી એના પ્રેમનો જોગી થઈ એકલો રહી કરેલા પાપની ક્ષમા મેળવીશ. ભાઈ ! મ્હારાથી એની એવી સ્થિતિ નહી જોવાય ! હું આ ઓરડામાં પડ્યો છું. મ્હારી તરલા બોલાવે તો, ડાક્ટર આશા આપે તો બોલાવજો હોં...'