અને વિણા સાથે નવું જ જીવન ગાળવા ઉમેદ હતી. તરલાની ક્ષમા મળે તો જ વિણા મારી થાય એમ છે. પણ લીલા એકવખત મારે લીધે જ મૃત્યુ મુખ જોઇ આવી, મારે લીધે જ તરલા મૃત્યુદ્વારે પહોંચે છે, યો પછી હવે વિણાની સાથે સુખી શી રીતે થાઉં? એ અભિશાપથી હૃદયની શાન્તિ રહે ખરી ? બ્હેન! હું કાંઈ નહીં બોલું. આજ મ્હારૂં મ્હોં છેલવહેલું જ જોશો. મને તરલાના પગ માથે અડકાડી કૃતાર્થ થવા દો.’
ચંદાના કોમળ હૃદય ઉપર ભૂજંગના શબ્દોની અસર થઈ. ભૂજંગને ખરેખરો જ પશ્ચાત્તાપ થયો છે એમ ચંદાને લાગ્યું. તરલાનું મ્હોં જુવે, અને પગ માથા ઉપર અડકાડી ક્ષમા માગે એ વિચાર થતાં ચંદા ભૂજંગલાલને અંદર લઈ ગઈ. ભૂજંગલાલને આવતાં જ વસંતલાલનાં ભવાં ચડી ગયાં. પણ આ જગા એવી હતી, કે જ્યાં મૃત્યુની પાંખ પથરાયેલી હતી એટલે કાંઈ જ બોલ્યો નહી. ડાક્ટરે-નર્સે મુંગા રહેવા આંગળી કરી. ચંદાએ જાદુઈ ખેલની માફક ભૂજંગલાલને મૃત્યુવત તરલા તરફ આંગળી કરી બતાવી અને ભૂજંગ ઢીલ થઈ ગયો. જે તરલાની પાછળ પોતે ગાંડો થયો હતો, જે તરલાને હંફાવવા આંક રાખ્યો નહોતો તે જ તરલાની આ સ્થિતિ અને તે પોતાને જ લીધે ! જીવનના અનુભવ પછી-વીણાના સહવાસથી ભૂજંગમાં ઘણો ફેર પડ્તો હતો. પ્રભુ-પાપ-પુણ્ય સમજવા લાગ્યો હતો અને તરલાની ક્ષમા યાચી વીણા સાથે પવિત્ર જીવન ગાળવાના ઉદ્દેશથી જ અત્રે આવ્યો હતો. પરંતુ અહીં તો ત્રાસજન્ય જ દેખાવ નજરે પડ્યો. તરલા મરી જાય તો તેનો ખરો ખૂની પોતે. એ પાપભાર ઝીલાય? સુમન, ચંદા અને જગત એની તરફ આંગળી કરે જ. વીણા પણ કદાચ એને ખૂની માને ! તો પછી એવા જીવનથી શું લાભ? આમ છતાં તરલાની અંતઘડીયે એની ક્ષમા યાચી, એના દેદારનાં દર્શન કરવાં એ પવિત્ર ફરજ માની ચંદાને અંદર લઈ જવા વિનતી કરી. અને એ વિનંતી સ્વીકારાઈ. ભૂજંગલાલ અંદર આવતાં જ