કરી દાદર જવા સામા પ્લેટફોર્મ પર જતા હતા ને? ભલા આદમી, બે બાજુ જોઈએ તે ખરા કે ગાડી આવે છે કે કેમ ?”
ભૂજંંગલાલથી અસત્ય બોલાતું નહોતું એટલે ના કહેવા જાતો હતો ત્યાં વીણાની નજર મળી અને મુંગો રહ્યો. પરાણે હા કહી અને પંચનામું થયું. ભૂજંગલાલ, વસન્તલાલ, સુમનલાલ જાણીતાં નામ હતાં એટલે ઘરમેળે સમાધાન થયું અને ત્રણે જણ સાથે બહાર ગયાં. સુમનલાલ વીણા અને ભૂજંગલાલને વિક્ટોરિયા કરી હોટલમાં જ લઈ જવા નીકળ્યો.
વિક્ટોરિયામાં પોતાની જોડે, સામે ભૂજંગ અને વીણાને જોતાં સુમનને અનેક વિચારો સૂઝ્યા. જે ભૂજંગ પોતાનો હરીફ હતો, જેને જોતાં તો શું પણ જેનું નામ સાંભળતાં શરીરમાં ક્રોધ, તિરસ્કાર વ્યાપી રહેતો તે જ ભૂજંગને બચાવી બન્ધુ તરીકે પોતાને ઘેર લઈ જતો હતો ! આ જ ભૂજંગને માટે સુરતમાં વર્ષો ઉપર શરતમાંથી તરલાને પરાણે ખેચી ગાડીમાં બેસાડી વગેરે અનેક શબ્દો સંભળાવ્યા હતા અરે! હમણાં જ વીણાનો તાર વાંચતાં શી શી લાગણી થઈ હતી, એ બધી લાગણીઓ ક્યાં ગઈ? એ લાગણીને બદલે અનુકંપા, સ્નેહની વૃત્તિ કયાંથી ઉદ્દભવી ? તરલાની મૃત્યુશય્યા આ સઘળું કરી શકી હતી. મૃત્યુ-મૃત્યુદયા મનુષ્યના દોષો દૂર કરી શકતાં હોય, મનુષ્યને દેવ બનાવી શકતાં હોય, મનુજપ્રેમ-ભ્રાતૃભાવ ઉત્પન્ન કરતાં હોય, પ્રભુપદ પમાડતાં હોય, તો મૃત્યુથી શા માટે ડરવું? મૃત્યુશય્યા, માંદાની માવજત, પીડીતની સારવાર એ પ્રભુનો પ્રેમ જાણવાનો માર્ગ છે, અને સુમનને તો એમજ થયું. મૃત્યુશય્યાથી