વસન્તલાલે સીગાર સળગાવી અને પીતાં પીતાં અરવિન્દને કહ્યું,
‘તું મુંબાઈ શા માટે આવ્યો છે તે કહે.’
‘તું સમજ્યો નથી?’
‘હું સમજ્યો છું, પણ મ્હારે ત્હારે મોઢે કઢાવવું છે.’
‘ઠીક, ઠીક. બોલ ત્હારૂં શું કહેવું છે? તું શું ધારે છે?’
‘હું? હું તો એ વિશે કાંઈ ધારતો જ નથી.’
‘એટલે? તું વાત સમજે તો છે ને? કે એમને એમ? મને ના પાડશે?’
‘શા માટે ના પાડે? કારણ કાંઈ?’
‘વસન્ત! વસન્ત! ના પાડી તો થઈ રહ્યું હો! હું ને એ બન્ને મરી ગયાં જાણજે.’
‘મ્હને તો એમાં કાંઈ લાગતું નથી. ત્હારી વાત તો તું જાણે પણ એને તો તું નહી તો બીજો.’
‘વસન્ત! ત્હને તો કાંઈ અક્કલ જ નથી. લીલા એ બીજી જેવી નથી.’
વસન્તથી હસ્યા વિના રહેવાયું નહી. અરવિન્દના ખ્યાલમાં લીલા એ બીજી સ્ત્રીઓ કરતાં જૂદી જ સૃષ્ટીમાં વસતી હોય એમ હતું.
‘વસન્ત! મ્હારે મન તો આ જીવન કે મૃત્યુનો પ્રશ્ન છે. એ વિશે મ્હેં બીજા કોઈને વાત કરીએ નથી ને કરવાનોએ નથી. અમે બન્ને જૂદાં જ માણસો છીએ અને એથી જ અમે એક બીજા સાથે જોડાયાં છીએ. વસન્ત! વસન્ત! મશ્કરીની વાત રહેવા દે ને ખરૂં કહે.’
‘હું ખરૂં કહીશ એટલું જ નહિ પણ તું જાણતો નથી એવું પણ કહીશ, પછી કાંઈ? મ્હારી વાઈફમાં એક અદ્ભુત શક્તિ છે જેથી બીજાનાં મન પારખી શકે છે. એ ત્હારી તરફ છે.’
‘શું કહે છે?’
‘એ ત્હારાં વખાણ કરે છે, એટલું જ નહી પણ ખાતરીપૂર્વક કહે છે કે લીલા પરણશે તો અરવિન્દને જ.’