પૃષ્ઠ:Thag.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બલિદાન : ૧૩૭
 

ગર્જનાનો પડઘો પહાડોમાં અથડાઈ પાસે જ વહેતા વહેળના ઘુઘવાટ સાથે ભળી ગયો.

‘બેશરમ ! ખાનસાહેબની સામે થતાં શરમાતો નથી ?’ એક કદાવર પુરુષે સમરસિંહ સામે ધસી આવી પુકાર કર્યો.

‘ખાનસાહેબની સામે થતો નથી. ખાનસાહેબને આપણો ધર્મ સમજાવું છું.' સમરસિંહે કહ્યું.

‘તું ધર્મ સમજાવે છે ! ખાનસાહેબને ?' કદાવર પુરુષે તિરસ્કારથી પૂછ્યું.

‘હા, મારું એ જ કર્તવ્ય છે. ભૂલે તેને માર્ગ બતાવવો.' સમરસિંહે કહ્યું.

‘માર્ગ તું ભૂલે છે અને ભુલાવે છે. દૂષિતને દંડ દેતાં વચમાં આવે છે. ભવાનીનો કોપ તું આપણા ઉપર ઉતારે છે.’

'જ્યારથી આપણે માર્ગ ભૂલ્યા ત્યારથી આપણા ઉપર ભવાનીનો કોપ ઊતરી ચૂક્યો છે. આપણા કેટકેટલા નાયકો પકડાયા. તે જાણો છો ને? દુર્ગા ફિરિન્ગિયા, શમશેર, ઉમરાવ, અમીરઅલ્લી, મખ્ખન..’

‘અને તારા જેવો નાયક મળશે એટલે આપણે બધાય પકડાઈશું. શા માટે એ બધાનાં નામ તું દે છે ? શરમાતો નથી ? ગોરાસાહેબનો માણસ બની તું જ અમને બધાને દગો દેવા બેઠો છે !’ પેલા ધસી આવેલા કદાવર પુરુષે કહ્યું. એના પરિચિત અવાજને પિછાનવા હું મથતો હતો. એટલામાં જ સમરસિંહે પોતાના મુખ ઉપર ઢાંકેલો પડદો કાઢી નાખ્યો, અને તેના ઉપર આરોપ મૂકતા માણસને ઓળખાવ્યો.

‘આઝાદ ! તો મારો ભોગ આપવાનો નિશ્વય કરો.'

'તે પણ થશે જ. હમણાં તો ધાર્યા પ્રમાણેના ભોગ આપવા જોઈએ.’

‘હું આપણી બિરાદરીને છેલ્લો બોલ સંભળાવું. આપણી પ્રથમ પ્રતિજ્ઞા એ કે ઠગથી સ્ત્રીનો વધ ન થાય; અરે, એટલું જ નહિ. સ્ત્રી સામે કુદૃષ્ટિ પણ ન થાય અને તેને આંગળી પણ અડકાડાય નહિ !’

‘એવું કયા ઠગે કર્યું છે ?'

‘જે પકડાયા છે તેમને પૂછી જો. મોગલાણી, કાટીબીબી અને રાધાનાં ખૂન એમને પકડાવી રહ્યાં છે. સ્ત્રીનો વધ ભવાની કદી માફ કરતી નથી.’ સમરસિંહ બોલ્યો. આઝાદે પોતાનું મુખ પણ ખોલી નાખ્યું, અને સામો જવાબ આપ્યો :

‘એ યાદ કર્યાનો અર્થ નથી. પણ આપણી બિરાદરીમાં સામેલ થયેલી