પૃષ્ઠ:Thag.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦ : ઠગ
 


‘આપનો હુકમ હવે કોઈ જ માનતું નથી. નહિ તો ભવાનીનો ભોગ અધૂરો રહે ? આજે તો આ પાર કે...’

‘ભવાનીને મારો ભોગ આપવાથી બિરાદરી બચતી હોય તો મને વાંધો નથી.' આયેશા બોલી.

‘સ્ત્રીનો ભોગ આપતા બિરાદારી બળી ઊઠશે. ખાનસાહેબ ! આજે આઝાદ કહે છે તે પ્રમાણે આ પાર કે પેલે પારનો આખરી ફેંસલો થશે. હું કહું છું કે આજથી આપણી બિરાદરી વિખેરી નાખીએ. આપણે ઠગ નથી રહ્યા; આપણે તો તુશ્મબાઝ બની ગયા છીએ.' સમરસિંહે કહ્યું.

‘સમરસિંહને પેલા ગોરાસાહેબે નવાબી કે ઠકરાત આપી હશે.' વીછુવો પાછો કમરે બાંધતાં આઝાદે હસતાં હસતાં કહ્યું.

‘મારા હાથની મુઠ્ઠીમાં એક નહિ પણ અનેક નવાબીઓ અને ઠકરાતો છે એ આઝાદ ભૂલી જાય છે.' સમરસિંહે જવાબ આપ્યો.

થોડી ક્ષણ સહુ કોઈ શાંત રહ્યા. બિરાદરી વિખેરી નાખવાની વાત સહુને ચમકાવી રહી હતી. આખું જીવન જે પંથને - જે માર્ગને - જે ધર્મને સમર્પણ કર્યું હતું તે પંથ, માર્ગ કે ધર્મને બાજુએ મૂકવો એવો જ સમરસિંહનો આગ્રહ હતો. એ કેમ બને ?

‘સમરસિંહ ! તું વધારે પડતી સૂચના કરે છે.' ખાનસાહેબે કહ્યું.

'કઈ સૂચના, ખાનસાહેબ ?’ સમરસિંહે પૂછ્યું.

'બિરાદરી વિખેરી નાખવાની.'

'આપ સહુ વિચાર કરો. આપણો હવે ઉપયોગ શો ? છૂપી રીતે - કાયદાને ઓથે - ધન લૂંટતા તવંગરનું ધન આપણે ઓછું કરતા નથી. આપણે તો ગરીબ અને ધનિક બધાયને લૂંટીએ છીએ.'

'તે આપણે બંધ કરાવીએ.'

‘આપણાં રાજ્યોને આપણે સહાય આપી શકતા નથી. પેશ્વાઈ ગઈ, છત્રપતિ ગયા, મોગલાઈ મરવા પડી. અને આપણે ગોરાઓથી ડરતા આપણા ભાઈઓને જ મારીએ છીએ. આઝાદ મારા ઉપર હથિયાર ઉગામે છે. શા માટે એ દિલ્હી સાચવવા જતો નથી ? શા માટે ગોરાઓને ગૂંચવતો નથી ?’

'પણ તું શું કરે છે ? તું તો ઊલટો ગોરાઓને સાચવે છે. આપણા જ દુશ્મનને તે રક્ષણ આપ્યું છે, માટે તો આયેશાનો ભોગ અપાય છે.’ આઝાદે કહ્યું.

હું ચમક્યો. મારું રક્ષણ કરનાર - મને આટલે સુધી પાછો લઈ