પાણીને હોઠે અને આંખે અડાડયું.
‘સાહેબ ! માતાજીનું ચરણામૃત છે, પવિત્ર છે. આપને ન જોઈએ તો હરકત નહિ, પણ લેશો તો અમારી દેવી પ્રસન્ન થશે.' આઝાદે કહ્યું.
મને એમાં હરકત લાગી નહિ. ખ્રિસ્તીઓની મેરી કરતાં આ દેવી બહુ વધારે ક્રૂર હતી. એટલે મને શ્રદ્ધા કે સદ્દભાવ તો નહોતાં જ. છતાં સહુને એથી સારું લાગતું હોય તો તેમ કરવામાં મને ધર્મભ્રષ્ટતા ન લાગી. મેં આચમન લીધું.
‘જય ભવાની !' સહુએ મોટેથી ઉચ્ચારણ કર્યું. અને બધા ઊભા થયા. માતાની ભયંકર મૂર્તિને પગે લાગી સહુ કોઈ એક ગુપ્ત દ્વારમાં જવા લાગ્યા. મેં જતે જતે સમરસિંહને પૂછ્યું :
‘આ મુસલમાનો પણ માતાજીને નમે છે ?'
‘આ મંદિરમાં જ નહિ, પણ બહાર સુધ્ધાં. બિરાદરીને હિંદુ-મુસ્લિમ ભેદ નડતા જ નથી.'
'છતાં હિંદુ હિંદુ રહે છે, અને મુસલમાન મુસલમાન ?'
‘જરૂર, હું એક ક્ષણ પણ હિંદુ મટ્યો નથી અને ખાનસાહેબ એક ક્ષણ પણ મુસ્લિમ મટ્યા નથી.’
‘એ કેમ બને ?'
‘અમારો માર્ગ સમજો તો તમે ખ્રિસ્તીઓ પણ આ બિરાદરીમાં આવી શકો.'
‘પણ તમે તો બિરાદરી વિખેરવા મથો છો !’ મેં કહ્યું.
‘હા, જી; હું બિરાદરીની વિશુદ્ધિ માટે તેમ કરવા મથું છું. બાકી અમારી બિરાદરી તો અમર છે.'
‘મને ન સમજાયું.’
‘કોઈ દિવસ સમજાવીશ.'
હું તથા સમરસિંહ ગુપ્ત દ્વારમાંથી છેલ્લા નીકળ્યા. આ ગુપ્ત દ્વારમાંથી જાણે કોઈ મહેલમાં પ્રવેશ કરતા હોઈએ એમ મને લાગ્યું. રાજમહેલમાં એક ચોગાનમાં પીરસેલી થાળીઓ ગોઠવાઈ ગઈ હતી. જેટલા ભેગા થયા હતા. એટલા બધા જ ઠગ જમવા બેસી ગયા. હું પણ ફાવ્યું ન ફાવ્યું કરીને તેમની જ ઢબે જમવા બેઠો. થોડા દિવસથી મને પણ એ જ ઢબની ટેવ પડી હતી.
પછી સમરસિંહ મને એક ઓરડામાં લઈ ગયો. ત્યાં પલંગ બિછાવેલો હતો. મને આરામ લેવા તેણે સૂચન કર્યું. ખરે, મારે આરામની બહુ જ જરૂર હતી. તન અને મન આજ જેવાં થાકી ગયાં હતાં તેવાં કદી થાક્યાં મેં