સમરસિંહે મને તત્કાળ પકડ્યો :
‘કેમ સાહેબ ! ઊંઘ ઠીક આવી ?’
‘હા.’ મેં કહ્યું.
‘હવે તમે નિરાંતે સૂઈ શકશો. ઠગ લોકોને તમે હવે વિખેરી નાખ્યા છે.'
'મેં વિખેરી નાખ્યા ?’ બેસીને મેં આશ્ચર્યથી પૂછયું.
‘હા, જી. આપે કેટલાય ઠગને પકડ્યા છે, કેટલાયની જુબાનીઓ લીધી છે અને કેટલાયને ફાંસીએ ચડાવ્યા છે.' સમરસિંહે આંખમાં તેજ ચમકાવી કહ્યું.
‘પણ હજી તમે તો છો જ, આઝાદ પણ છે, અને મારા અનુભવ પ્રમાણે તો હજી ગામેગામ અને શહેરેશહેરમાં તમારાં કેટલાંય થાણાં છે.'
‘એ થાણાં હવે ઉપાડી લીધાં.'
'કેમ ?'
'હવે જરૂર રહી નથી.'
‘જરૂર ? ઠગ લોકોનાં થાણાંની ?’
'હા જી. અમારો ધર્મ તો અમર છે અને અમર રહેશે. જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે ત્યારે અમે ફૂટી નીકળીએ છીએ.'
‘મને સમજ પાડો. ઠગ લોકોનો ધર્મ શો ?’
'આપ અમારા ભેગા ન ભળો ત્યાં સુધી એ ધર્મ સમજાય એમ નથી. છતાં આપને ખોટો ખ્યાલ ન આવે એ માટે - અને સાથે સાથે ચેતવણી આપવા માટે મેં આપને અમારા ગુપ્ત જીવનમાં સહજ આવવા દીધા છે.’
ઠગ લોકો પ્રત્યે મને જે તિરસ્કાર હતો. તે થોડા દિવસના મારા અનુભવથી ઘટી ગયો હતો. એક અંગ્રેજ તરીકેનું મારું અભિમાન ઠગ લોકોનાં બંધારણ જોઈને ઓછું થઈ ગયું હતું. મારો વિશ્વાસુ અંગરક્ષક જ એક ઠગ ! લાટ સાહેબનાં પત્નીની સહચારી સુધી ઠગ લોકોની અસર ! અને તેમની ભભકભરી ઉદારતા તેમ જ સગી બહેનનો ભોગ આપવાની નિષ્ઠુરતા એ બંને સ્વભાવમિશ્રણ અને આશ્ચર્ય પમાડતાં હતાં. સમરસિંહ અને ખાનસાહેબ સંસ્કારથી ભરપૂર હતા; તેમની વાત અને તેમનાં વર્તન કોઈ પણ શિષ્ટ ગૃહસ્થને શોભે એવાં હતાં. આઝાદનું શૌર્ય અને એનું વેર આજે પલટાઈ તેને ફકીરી તરફ દોરતાં હતાં. ! ખરે, ઠગ લોકો માટે મારો તિરસ્કાર તો લગભગ જતો રહ્યો હતો. આયેશા અને સમરસિંહનો નાટકને શોભે એવો પ્રસંગ મારા સ્મરણપટ ઉપર જડાઈ ગયો હતો. છતાં