પૃષ્ઠ:Thag.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
 
માનવ કવિતા
 


સમરસિંહ અને આયેશા વચ્ચે થતી વાતચીતમાં એક બિના ઊકલી રહી હતી.

‘હું હિંદુ છું એ તો તને ખબર છે ને ?’ સમરસિંહે કહ્યું.

‘હજી આટલા સહવાસે તને એ વાત યાદ આવે છે ખરી ?' આયેશા બોલી.

‘તારા અંતિમ નિર્ણયમાં મારે સહાય આપવી જોઈએ. હિંદુ અને મુસ્લિમ સંસ્કારભેદ કદાચ જીવનમાં વિરોધ ઉપજાવે, નહિ ?’

‘એ ભૂત ઊભું કરીએ તો જુદી વાત. બાકી હિંદના હિંદુઓ અડધા મુસ્લિમ છે અને હિંદના મુસ્લિમો અડધા હિંદુ છે. મને વિરોધનો ભય નથી.'

‘આઝાદને તું અન્યાય નથી કરતી ?' જરા રહી સમરસિંહે કહ્યું.

‘જરા પણ નહિ.’

‘તારા પિતાની, તારા ભાઈની ઇચ્છાનો વિચાર કર. આઝાદે તારે માટે શું કર્યું છે તે યાદ કર. તું મારી સલાહ માનીશ તો આપણી સંસ્થા જીવતી રહેશે. તું નહિ માને તો કાલે આપણે બધા વીખરાઈ જઈશું. આજની છેલ્લી રાત છે.'

પિતા તો ગયા. ભાઈની મરજી મેં આજ સુધી જાળવી છે; ભવાનીને મારું બલિદાન આપવા તેઓ તૈયાર થયા ત્યારેય મેં તો મસ્તક ઝુકાવ્યું જ છે ! દેહને મારે તો ભલે. મન ઉપર મારીયે માલિકી નથી. આઝાદે મારે માટે શું કર્યું તે કહું? આખી બિરાદરી ઊલટાવી નાખી. નહિ તો આપણો પરાજય કેવો ? શા માટે આપણા બંધુઓ પકડાય અને ફાંસીએ ચડે ?'

'એમાં એનો શો દોષ ?'

‘શા માટે એ પ્રેમને ખાતર અવળા રસ્તા લે ? મારે ખાતર એણે જે જે કર્યું તે બધાનું તારે નિવારણ કરવું પડ્યું. અને મને બચાવવા તું બિરાદરીને વિખેરી નાંખે છે. એ દોષ કોનો ?'

‘તું એને ઓળખી શકી નથી.'