દિલાવરના મુખ ઉપર સહજ શોકની છાયા પથરાઈ હતી. મેં તેને પૂછ્યું:
‘કેમ, દિલાવર ?’
‘આપને હવે જવાનું છે.'
‘પણ તું તો સાથે જ છે ને ?’
'ના જી. હવે મારે આપની જરૂર નહિ પડે.'
‘મને તારી ખોટ પડશે. મને તે કેટલી વાર બચાવી લીધો છે ?’
‘એ તો મને બિરાદરીનો હુકમ જ હતો.'
'આઝાદ ક્યાં?'
‘ચાલી નીકળ્યો એની બીન લઈને.'
'અને સમરસિંહ ?’
‘મટીલ્ડાને સમજાવે છે.'
‘શું સમજાવે છે ?’
‘એ તમારી સાથે જવાની ના પાડે છે.'
‘મટીલ્ડા ? શા માટે ના પાડે છે ?'
‘એને અહીં ગમી ગયું છે; સમરસિંહ પાસે જ એને રહેવું છે.’
રંગ અને જાતના અભિમાનની દીવાલો તોડીને જ્યારે પ્રેમ પ્રગટ થાય એ લાગણીની સચ્ચાઈ માટે માન ઊપજવું જોઈએ. હું એક એવું પ્રેમદર્શન કરીને આવ્યો હતો. છતાં મટીલ્ડાની લાગણીના સમાચારે મને બહુ આનંદ ન આપ્યો. માનવીને કેટકેટલા ભાવ જમીન સાથે જોડી રાખે છે?
‘મારે સમરસિંહને મળવું છે.'
‘મટીલ્ડાને સમજાવીને હમણાં આવશે.'
‘દિલાવર ! મારે તને ઇનામ આપવું જોઈએ.’
‘નહિ સાહેબ ! હું સુખી છું. ખેતીમાં મને સારું મળે છે. આપની