પૃષ્ઠ:Thag.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
 
મૂર્તિના ભેદ
 


દિલાવરના મુખ ઉપર સહજ શોકની છાયા પથરાઈ હતી. મેં તેને પૂછ્યું:

‘કેમ, દિલાવર ?’

‘આપને હવે જવાનું છે.'

‘પણ તું તો સાથે જ છે ને ?’

'ના જી. હવે મારે આપની જરૂર નહિ પડે.'

‘મને તારી ખોટ પડશે. મને તે કેટલી વાર બચાવી લીધો છે ?’

‘એ તો મને બિરાદરીનો હુકમ જ હતો.'

'આઝાદ ક્યાં?'

‘ચાલી નીકળ્યો એની બીન લઈને.'

'અને સમરસિંહ ?’

‘મટીલ્ડાને સમજાવે છે.'

‘શું સમજાવે છે ?’

‘એ તમારી સાથે જવાની ના પાડે છે.'

‘મટીલ્ડા ? શા માટે ના પાડે છે ?'

‘એને અહીં ગમી ગયું છે; સમરસિંહ પાસે જ એને રહેવું છે.’

રંગ અને જાતના અભિમાનની દીવાલો તોડીને જ્યારે પ્રેમ પ્રગટ થાય એ લાગણીની સચ્ચાઈ માટે માન ઊપજવું જોઈએ. હું એક એવું પ્રેમદર્શન કરીને આવ્યો હતો. છતાં મટીલ્ડાની લાગણીના સમાચારે મને બહુ આનંદ ન આપ્યો. માનવીને કેટકેટલા ભાવ જમીન સાથે જોડી રાખે છે?

‘મારે સમરસિંહને મળવું છે.'

‘મટીલ્ડાને સમજાવીને હમણાં આવશે.'

‘દિલાવર ! મારે તને ઇનામ આપવું જોઈએ.’

‘નહિ સાહેબ ! હું સુખી છું. ખેતીમાં મને સારું મળે છે. આપની