‘સમરસિંહ, ખાનસાહેબ, આયેશા, દિલાવર, આઝાદ, ગંભીર, એવા એવા મારા સામાવળિયા હોય તો જીવવું, લડવું અને મરવું એ ત્રણે સારાં લાગે. તમારા વર્ગને હું મિત્ર બનાવત. તેમનો ઉપયોગ કરત...'
‘ઠગ લોકો બનાવ્યા મિત્ર બનતા નથી !’
‘મને ખરેખર દિલગીરી થાય છે કે મેં શા માટે આટલા ઠગ સરદારોને ફાંસીએ ચડાવ્યા !’
‘દિલગીરી ન કરશો. મરવાને પાત્ર હતા તેમને અમે મરવા દીધા છે. પરંતુ આપ અમારું વગોણું ન કર્યે જાઓ એ અર્થે અમે અદૃશ્ય થતાં થતાં તમને ખરે સ્વરૂપે દેખાયા છીએ.'
‘આપણે હવે ક્યારે મળીશું ?'
‘હવે મળવાની જરૂર છે ? બિરાદરી હતી ત્યાં સુધી અમારી ઝમક હતી. હવે અમે સામાન્ય માનવીઓ બની જઈશું.’
‘દિલાવર ખેડૂત બને છે; આઝાદ ફકીર બની ચાલ્યો ગયો. તમે શું બનશો ?’
‘હું તો જે છુ તે જ રહીશ.’
‘એટલે ?'
‘નાનપણથી અંચળો પહેર્યો છે. એ કદી કદી બદલાતો, હવે એ સતત પહેરી રાખીશ.’
‘આયેશા ?’
‘મારી સાથે જ રહેશે - જોગણ બનીને.'
હું શાંત રહ્યો. ભયાનક ગુનેગારો તરીકે ગણાતા વર્ગમાં કલા, માનવતા અને વિરાગ કેમ ખીલી નીકળ્યાં હશે ? હિંદ અને હિંદના લોકો અજબ માનસ ધરાવે છે.
‘આ મટીલ્ડાની મુશ્કેલી હતી; એને મારી સાથે રહેવું હતું.’ સમરસિંહે કહ્યું.
‘હજી પણ રહેવું છે.' મટીલ્ડા બોલી ઊઠી.
‘હિંદના સાધુફકીરો ખીલાની ભૂમિ કરી બેસે છે અને સૂએ છે. એ જીવન મટીલ્ડાને અજાણ્યું છે; એનાથી એ સ્થિતિ સહેવાય નહિ. એથી હું એને ના કહું છું. મહા મુસીબતે એ પાછી જવાને કબૂલ થઈ છે. આપ એને સાથે લઈ જાઓ અને એનાં માતાપિતાને પાછી સોંપો.'
‘અમને તમે કાઢી મૂકતા હો એવું લાગે છે.’
મારા હૃદયની મેં લાગણી વ્યક્ત કરી. જેવા વિચિત્ર ભયપ્રદ છતાં