પૃષ્ઠ:Thag.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વર્ષો પછીનું અકસ્માત મિલન : ૧૮૩
 


‘અને આ તો આયેશા ને ?’

‘હા, જી. મને - સાધુને આ માયા વળગી છે !’

'પણ એ માયા તારો તપભંગ તો નથી કરતી ને ?' આયેશા બોલી એનો અવાજ મેં પરખ્યો.

‘ના; મારી એકાગ્રતા વધારે છે. એ બન્ને સાધ્વીઓના મુખમાં હું પ્રભુનાં દર્શન કરું છું. એમનો સાથ ન હોત તો મારી સાધુતા, અધૂરી રહી જાત.'

મહારાજ્યો સાચાં કે મહા હૃદયો ? રસ્તામાં જ મેં આખો પ્રસંગ લખી નાખ્યો. ઠગ સંબંધી મેં ઘણું લખ્યું છે, પણ તે આ લખાણ પહેલાનું. છેલ્લું મારું આ લખાણ ઠગ સંસ્થાનું રહસ્ય સમજ્યા પછીનું છે એ જ સાચું છે, કારણ એમાંથી હું એક સત્ય શીખ્યો : ઠગસંઘમાં માનવતા હતી.

શું એકલી માનવતા જ હતી ? હા, એમાં ખોટું શું ? મહત્તા કરતાં માનવતા વધારે મોટી છે. મહત્તા મેળવવાની શક્તિ ધરાવનાર સ્ત્રીપુરુષો માનવી બને ત્યારે જીવન નંદનવન બને છે.

સમરસિંહને જોયા પછી મને પણ મહત્તા ઉપર વિરાગ આવી ગયો છે.

મને કોઈ સાચો માનવી આપો ! હું રાજ્ય કે રાજ્યવિસ્તાર નથી માગતો.

• • •