પૃષ્ઠ:Thag.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨: ઠગ
 

હોદ્દેદારોને તૈયાર કરે છે.

સ્નાન પછી ત્રીજા વિભાગની ક્રિયા શરૂ થાય છે. ગુપ્ત મંદિરમાં પ્રવેશ પામવા માટે ત્રણ દરવાજામાંથી પસાર થવું પડે છે. નવીન દીક્ષિત ત્રણે દરવાજામાંથી પસાર થાય છે અને પછી દારૂના પ્યાલામાં પોતાના લોહીનું ટીપું નાખી તે પોતે તથા સઘળા હાજર સભ્યો દારૂ સાથે ભેળવી પીએ છે. આથી નવા સભ્યનો આખા મંડળ સાથે રુધિરસંબંધ બંધાયો એમ માનવામાં આવે છે.

ચોથા ભાગની ક્રિયામાં પ્રમુખ અને નવીન શિષ્ય વચ્ચે નક્કી કરેલા પ્રશ્નોત્તર ચાલે છે - Catechism. નવીન શિષ્યની સાથે રહેનાર-ચાલક (Conductor) શિષ્ય તરફે જવાબો આપે છે. પૃથ્વી અને પાણી ઉપર લાંબી મુસાફરી આત્માએ કરી હોય એવો ભાવાર્થ આ પ્રશ્નોત્તરમાંથી નીકળે છે. એ સઘળું સાંકેતિક હોય છે. એમાં અમુક અમુક સંખ્યા ઉપર, ત્રિકોણ ઉપર અને ત્રિશૂળ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે છે કારણ સંખ્યા, ત્રિકોણ અને ત્રિશૂળ એ જગતભરના તાંત્રિકોમાં મોટા સંકેતો મનાય છે.

પ્રશ્નોની શરૂઆત નીચે પ્રમાણે થાય છે :-

પ્રમુખ-Master': 'તમે ક્યાંથી આવ્યા ?’

શિષ્યનો ચાલક : ‘પૂર્વમાંથી.’

પ્રમુખ : ‘કયે વખતે આવ્યા ?’

શિષ્યનો ચાલક : ‘સૂર્યોદય થતાં - પૂર્વ દિશા પ્રકાશમય હતી.'

ફૂલ, પક્ષી, માળા, ઝવેરાત, તલવાર, ત્રિશૂળ, સ્વસ્તિક, અંક, દીપ, ધૂપ, મંત્રોચ્ચાર, વિધિ, મૂર્તિ એ બધાનો સંકેત તરીકે અગર સભ્યોના માનસ ઉપર છાપ પાડવા, અને છાપ દૃઢીભૂત કરવા ગુપ્ત મંડળો ખૂબ ઉપયોગ કરે છે, અને તેમાં ધર્મની માફક સફળતા પણ મેળવે છે; કાર્યવિધિ (Rituals)ના દબદબાથી મનુષ્ય હૃદય અંજાઈ જાય છે, અને રહસ્યને સ્વીકારી લેવા જેવી માનસિક નિર્બળતા પણ ધારણ કરે છે. ગુપ્ત મંડળોમાં ધર્મનો આભાસ આપવાની વૃત્તિ આ દબદબા અને ભવ્યતાની અસરના જ્ઞાન ઉપર આધાર રાખે છે.


હિંદની ગુપ્ત ટોળીઓ

રાજકીય ઉદ્દેશો પાર પાડવા માટે સ્થપાયેલી છૂપી ટોળીઓ આપણા દેશમાં તેમ જ પરદેશમાં જાણીતી છે. મૅઝિનીના બળવાને સફળ બનાવી