પૃષ્ઠ:Thag.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪: ઠગ
 

પૂજ્યભાવ, ભેદનું વાતાવરણ ઊભું કરે છે, અને સઘળા સાધુઓ આત્મોન્નતિના આગ્રહી ન હોવાથી તેમનાં જીવન પાર્થિવ પ્રસંગોમાં પણ પૂજ્યભાવ અને ભેદનો ઉપયોગ કરી લે છે. સાધુનો વેશ, સાધુનું નિરંકુશ ભ્રમણ, સાધુનું સાધનરહિતપણું, સાધુના અધિકાર અને સાધુ પ્રત્યેનો હિંદુજનતાનો પૂજ્યભાવ સાધુને વગર હરકતે કાવતરામાં સામેલ થવા દે છે, અને યથેચ્છ કાર્યક્રમમાં તેને યોજાવા દે છે. સાધુઓનો વેશ ધારણ કરવો એ પણ સરસ છે, એટલે ગુનેગારો પણ એ વેશમાં પોતાના ગુના સંતાડી શકતા.

દક્ષિણના ગાણપત્યો, બંગાળના શાક્તો, ગુજરાતના કાંચળિયા પંથીઓ, જૈનોના ગોરજીઓ અને બૌદ્ધ મતના તાંત્રિકો ધર્મની છાયા નીચે ભોગવિલાસને ધાર્મિક સ્વરૂપ આપી સ્વેચ્છાચાર કરનાર ગુપ્ત મંડળો હતાં એમ પણ કહેવાય છે.

પરંતુ એ વિગતવાર ઇતિહાસમાં અત્રે ઊતરી શકાય એમ નથી. ધર્મ અને રાજ્યને અંગે આપણા દેશમાં પણ ગુપ્ત મંડળો ઘણાં થયાં છે. પરંતુ એ સર્વ મંડળોમાં બ્રિટિશ સામ્રાજ્યની શરૂઆતમાં બહુ જોર ઉપર આવેલું ઠગ મંડળ ધ્યાન ખેંચે એમ છે. પીંઢારાઓ ઠગ સરખા ગુપ્તમાર્ગીં ન હતા; પીંઢારાઓની લશ્કરી ટોળીને ઠગ જેવું ગુપ્ત વાતાવરણ જરૂરનું ન હતું. બંનેનો સમય લગભગ સરખો જ હતો. પરંતુ ઠગ અને પીંઢારા એ બે જુદી જ સંસ્થાઓ તરીકે ઓળખાવી જોઈએ. એ ઠગ ટોળીએ હિંદમાં ભજવેલો ભાગ સમજવા જેવો છે.

૧૦
ઠગ

આપણી ઘણી લોકકથાઓમાં ઠગની વાતો આવે છે. મોઢે કહેવાની વાતોનો પ્રચાર ઓછો થઈ ગયો છે, અને હવે તો બાળકને માતાઓ અને કૈંક અંશે દાદીમાઓ પણ ખાસ લખેલી વાર્તાઓ શાસ્ત્રીય ઢબે વિચારપૂર્વક કહી સંભળાવે છે, એટલે કંઠસ્થ વાર્તાસાહિત્ય ઘસાઈ જાય છે. પરંતુ પચીસ-ત્રીસ વર્ષ પૂર્વે એવી ઘણી વાર્તાઓ પ્રચલિત હતી કે જેમાં ઠગનાં વર્ણનો અને પરાક્રમો આવે જ આવે. ઠગપાટણ એ લોકકલ્પનાએ નક્કી કરેલું ઠગ ટોળીનું શહેર એવી વાર્તાઓમાં બહુ જ આગળ તરી આવતું. 'દિલ્હીનો ઠગ’ અને ‘બનારસી ગુંડા’ એ હજી પણ તોફાની માણસોને અપાતાં બિરુદ જાણીતાં છે. શામળે પોતાની સામાજિક કથાઓમાં ઠગ લોકોનાં આછાં વર્ણન આપ્યાં છે. દલપતરામે અંગ્રેજી