પૃષ્ઠ:Thag.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
 
ઠગજીવનમાં માનવતા
 


હું ખાટલા ઉપર આડો પડ્યો. આઝાદ ઝૂંપડીમાંથી બહાર આવ્યો અને મારી સાથે જ એક બીજો ખાટલો નાખી. તે ઉપર બેઠો. આયેશા આમતેમ ફરવા લાગી. આ સ્થળ તેને પરિચિત હોય એમ લાગતું હતું.

ઝાડની ઘટામાંથી એક કદાવર બાઈ સાથે કાંઈ લઈને આવતી જોવામાં આવી. આયેશાએ તેને દૂરથી જોઈ બૂમ મારી :

‘તુલસી ! ક્યાં રખડે છે ? તારે ઘેર મહેમાન થઈને આવીએ અને તું નાસતી ફરે છે ?'

‘ઓહો, બે’ન ! તમે ક્યાંથી ? તુલસી પાસે આવી આયેશાને ભેટી પડી. ‘ભલે, ભલે, મારે ઘેર તમે મહેમાન એ તો મારી નસીબદારી ! થોડી વાર ઉપર મિયાંસાહેબ આવ્યા, અને તેમને માટે થોડાં ફળ વીણી લાવવા ગઈ હતી. પણ બધાંને થઈ રહેશે. આવો બા અંદર.’

તુલસી આયેશાને અંદર લઈ ગઈ. તત્કાળ તે બહાર આવી, અને લીલાં પાંદડાંનાં ગોળ સ્વચ્છ પતરાળાં અને પડિયા તેણે અમારી પાસે મૂક્યાં, અને તાજા સ્વાદિષ્ટ ફળ, લોટની કાંઈક મીઠી બનાવટ અને થોડી છાશ, તેણે અમને પીરસ્યાં.

‘શરમાશો નહિ, હોં સાહેબ !' તુલસીએ મને ઉદ્દેશીને કહ્યું. જવાબમાં હું સહજ હસ્યો અને મારા ઉપર આ મુજબ થતા ઉપકારની લાગણી મુખ ઉપર વ્યક્ત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

આઝાદે તુલસીને પૂછ્યું : ‘તુલસી ! આ સાહેબને તું ક્યાંથી ઓળખે?'

‘હું ક્યાંથી ઓળખું ?' તેણે જવાબ આપ્યો : ‘આયેશાની સાથે એ આવ્યા એટલે એ પણ મહેમાન.'

આઝાદે આછું આછું હસતાં હસતાં જણાવ્યું : ‘તું જો એમને બરાબર ઓળખે તો એવી મહેમાનગીરી કરવી ભૂલી જાય, હો !’

‘ભૂખ્યો માણસ આવીને ભોજન સ્વીકારે એને તો હું મારો ભાઈ માનું છું. પછી ભલે ને તે માથાનો વાઢનાર હોય !' તુલસીએ જવાબ આપ્યો.