પૃષ્ઠ:Trishanku.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
 
મધ્યમવર્ગનું અર્થશાસ્ત્ર
 

કિશોર બહાર જઈ ગુંડાને અને મઝદૂરને મળ્યો અને મઝદૂરની માગતી રકમ એણે ગુંડાને આપી. એણે એક પુણ્યકાર્ય તો કર્યું. એક આર્થિક અન્યાય દૂર કર્યો, પરંતુ તેણે એમ કરવામાં ભયંકર માનસિક ભોગ આપ્યો – જે ભોગ આગળ કદાચ આર્થિક ભોગ જરાય વિસાતમાં ગણાય નહિ. તંગી ઘણી પડતી હતી; પૈસા કદી મળતા અને મોટે ભાગે ન મળતા; પરંતુ આજ સુધી, અત્યારની ઘડી સુધી તેના હૃદયે જરાય ખારાશ અનુભવી ન હતી. મઝદૂરના પૈસા ગુંડાને આપતાં આજ તેના હૃદયે તેના આખા જીવનને પલટી નાખતી ખારાશનો અનુભવ કર્યો. એના જીવનમાં કોઈ નવી જ વક્રતાએ અત્યારે પ્રવેશ કર્યો. પૈસા બચ્યા હતા, પતિપત્ની બન્ને એ જાણતાં હતાં, છતાં પત્નીએ તે કાઢી આપવામાં સંકોચ સેવ્યો ! અને સંકોચ પકડાઈ જતાં બહેન જુઠું બોલી ! વીજળીને વેગે આ બધા વિચારો તેના હૃદયમાં ફરી આવ્યા - ગુંડાને પૈસા આપતી વખતે અને મઝદૂર તથા ગુંડાને વિદાય કરતી વખતે.

એટલી થોડી મિનિટ તારા અને સરલા એકલાં પડ્યાં. કાપે તો લોહી ન નીકળે એવાં એ બન્ને ફિક્કા પડી ગયાં. કૅશબૉક્સમાં પૈસા ન હતા એ સરલાની વાત સાચી, સરલાને ખબર ન પડે તેમ તેને તથા ભાઈને આનંદઆશ્ચર્યમાં મગ્ન બનાવી દેવાની શુભેચ્છા સાથે તારાએ કોઈને પણ કહ્યા વગર એમાં પૈસા નાખ્યા હતા એ પણ સાચી વાત. કદી જૂઠું ન બોલનારી પત્ની આજ જૂઠું બોલી એવી કિશોરને ખાતરી થઈ, એ વાત પણ સાચી. ત્રણે જણ સાચું બોલતાં હતાં, સાચું કરતાં હતાં, છતાં એમાંથી કિશોરના હૃદયને માનવ ખારાશના દરિયામાં જબરજસ્ત ડૂબકી મારી અને ગરીબીની સાર્વત્રિક સચ્ચાઈમાંથી સહુને ખારાશ મળી એ પરિણામ આવ્યું. સ્તબ્ધ થઈ બેઠેલા નણંદ-ભોજાઈથી થોડીક ક્ષણ કાંઈ પણ બોલાયું નહિ. અંતે તારાએ કહ્યું :

'ભાભી ! આ શું થઈ ગયું ?”

'પ્રભુને જે ગમ્યું એ ખરું !' સરલાએ કહ્યું. પ્રભુ બીજી કોઈ રીતે માનવીને ખપ નહિ લાગતો હોય એ સાચું; પરંતુ કોઈને પણ દોષ દઈ