પૃષ્ઠ:Trishanku.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪ઃ ત્રિશંકુ

એના બિનઅનુભવી નિર્દોષ યૌવને અત્યારે તેને અવનવી હિંમત આપી અને તે બોલી :

'ભાઈ, આવી વિકલતા હોય ? જરા શાંત પડો.. હજી ચા તો પૂરી પીધી નથી...'

‘ચાને બદલે હું ઝેર પીઉ તો કેવું ? બહેન !'

'ખમ્મા કરે મારા ભાઈને !...' તારાથી બોલાઈ ગયું.

'ખમ્માનો સાચો અર્થ તો ક્ષમા, નહિ ?...હું એ જ વિચાર કરું છું. ઈશ્વર તો કોણ જાણે; પણ ક્ષમા કરી જાણે તો તે મારો શેઠ ! આ બળેલી નોટો સાક્ષી તરીકે લઈ જગજીવનદાસ શેઠ પાસે હું હવે સીધો પહોંચી જાઉં, અને સાચી હકીકત તેને જણાવી દઉં...' કિશોરે કહ્યું.

‘પણ એ શેઠ કદાચ ન માને તો?' તારાએ પૂછ્યું.

તો જે પરિણામ આવે તે ખરું! કિશોરે કહ્યું.

'અરે પણ, અત્યારે તે જવાય ? આ કડકડતી ટાઢમાં ? અને આ દાઝેલા હાથે ? હજી હાથ ઉપર મલમ પણ લગાડ્યો નથી, અને જમવાનું તો એમ ને એમ છે.' સરલાએ કહ્યું. કિશોરના મુખ ઉપરની વ્યગ્રતા અવનવી હતી. જોનાર સર્વને એ વ્યગ્ર બનાવતી હતી. એના મુખ ઉપરનું અનિશ્ચિતપણું કિશોર પાસે શું ને શું કરાવશે એવો ભય તારાને અને સરલાને લાગ્યો. એટલે જેમ બને તેમ તેને અત્યારે રોકી, જમાડી, તેની સારવાર કરી તેને રાત્રિની શાંતિ આપવાની તેમને ઇચ્છા હતી. પરંતુ કિશોરના મુખ ઉપરની વિકળતા જરાય ઘટી નહિ. તેની આંખોમાં પણ કંઈ ઘેલછાભર્યું તેજ ચમકી રહ્યું હતું. તેણે બળપૂર્વક ડગલાં ભરી કોટ પહેરી લીધો, માથે ટોપી પહેરી લીધી અને લગભગ રાખ બની ગયેલી નોટો હાથમાં પકડી ચાલવા માંડ્યું. સરલા અને તારાના હૃદયમાં થડકાર ઉત્પન્ન થયો. હાથ લાંબો કરી સરલાએ પતિને અટકાવ્યો અને કહ્યું :

'નહિ જવા દઉ તમને અત્યારે !'

‘તું ખસી જા, સરલા! વચ્ચેથી. હું જે કરું છું તે મને કરવા દે.' કિશોરે કહ્યું.

'તો હું તમારી સાથે આવું એકલા ન જશો.' કહી સરલાએ લંબાવેલો હાથ ચાલુ રાખ્યો. એ હાથને કિશોરે બળપૂર્વક ખસેડી નાખ્યો અને માત્ર કિહ્યું :

'હં!'

અને અવનવી આંખ અને અવનવી મુદ્રાસહ તે ઓરડીની બહાર