પૃષ્ઠ:Trishanku.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચૌટે-ચકલે: ૧૩૧
 

'કોણ, તારામતી ? માફ કરજો. આવી કંઈક ભૂલો જિંદગીમાં થઈ જાય છે.' દર્શને સાદડીમાં બેઠે બેઠે બારણું ખખડાવતી તારામતીને જવાબ આપ્યો.

‘બારણું ઉઘાડો ત્યારે તમારી માફી મારા સુધી પહોંચે ને ?' તારામતીએ કહ્યું.

‘તારામતી ! મેં અનેક વાર કહ્યું કે હું મારાં બારણાં કદી બંધ રાખતો જ નથી. ખોલીને આવી શકો છો.’ દર્શને કહ્યું અને તારા બારણું ઉઘાડી અંદર ચાલી આવી. સાદડી ઉપરથી ખસી તારા માટે જગા કરી દર્શન જમીન ઉપર બેઠો અને બોલ્યો :

'તારામતી ! પચીશ વર્ષ પહેલાં આર્યકુટુંબોમાં ષટ્કન્યાનાં નામોચ્ચારણ વગર પ્રભાત ઊગતું ન હતું, એ ખબર છે ?'

'ના, ભઈ ! એ તો હું જાણતી નથી. કયાં નામ ?' તારાએ પૂછ્યું.

'એક અહલ્યા, બીજી તારા...'

‘તે હું સમજી ગઈ. વધારે નામોની જરૂર નથી.'

‘તો એ પૃણ્યશ્લોક નામધારીને આટલાં વહેલાં શા માટે દર્શન આપવા પડ્યાં ?' દર્શને પૂછ્યું.

'હવે તમારી પત્રકારની વાણી અને વિવેક બાજુએ મૂકીએ. વાણી નહિ પણ પગ ચલાવવાનો વખત આવ્યો છે. કાંઈ ખબર છે ?' તારાએ પૂછ્યું.

‘ના, ભઈ !' દર્શને જરા ચિંતા દર્શાવી કહ્યું.

‘ભાભી આખી રાત રોતાં જ બેઠાં છે... છેક હમણાં જ આંખ મીંચી અને હું પહેલી જ તમારી પાસે આવી.'

'કેમ ? એમ કેમ ?'

‘ભાઈ પહેલી રાતના ગયા છે તે હજી પાછા આવ્યા જ નથી.’

'કારણ ? એવું શું થયું ?'

‘અમરે રમતમાં નોટો બાળી નાખી, હજારોની ! કોઈને આપવા માટે ભાઈ લાવેલા....'

'મને તરત કહ્યું કેમ નહિ ?'

'શું કહું ? અમે તો બધાં હેબક ખાઈ ગયાં. આખી રાત ગમ ન પડી. છોકરાં રડે અને ભાભી પણ રડે. જરા આંખ મીંચાઈ એટલે હું અહીં દોડી આવી.’

‘તમે ભાભીને જઈને હમણાં જ કહો કે ગભરાય નહિ; સવાર પહેલાં