પૃષ્ઠ:Trishanku.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવી દુનિયા અને નવા દોસ્તોઃ ૧૪૭
 

દર્શન કે સરલાની ભલામણ કિશોરે સ્વીકારી હતી કે કેમ એ કિશોરના મુખ ઉપરથી સમજી શકાતું નહિ. મગજની અસ્થિરતા કિશોર દર્શાવે તો એને છૂટી જવાનો મોકો મળે એમ હતું. અને શેઠના ગુમ થયેલા પૈસા પાછા મળી ગયેલા હોવાથી શેઠ જગજીવનદાસ તેને પાછો નોકરીમાં લઈ લે એવો પણ સંભવ હતો. જગજીવનદાસે વધારે મહેરબાની એ પણ દર્શાવી હતી કે તેઓ સરલાને શેઠાણી પાસે વાંચનના કામે પગાર આપી રોકવા પણ તૈયાર થયા હતા. અને મગજની અસ્થિરતા વિના આવું ચોરીનું કામ કિશોર જેવા સદગૃહસ્થથી ન જ થાય એમ આખી દુનિયાની સાદી સમજ કહે તો તેમાં નવાઈ નહિ. પરંતુ એ દલીલ કરવી કે નહિ એ સંબંધમાં કિશોરે બહુ સંદિગ્ધ જવાબ આપ્યો હતો એમ સરલા અને દર્શનના મુખ ઉપરથી દેખાઈ આવતું હતું. કિશોરના માનસનો એક ભાગ તેને વારંવાર કહી રહ્યો. હતો કે એણે જાણીબૂઝી મગજ ખોયા વગર ચોરીનું કાર્ય કર્યું હતું. તેના મનનો એક ભાગ તેને કહી રહ્યો હતો કે એણે સત્ય બોલી કાયદો, શાસન અને ન્યાયનાં જૂઠાણાં ઉઘાડા પાડવાં અને બીજો ભાગ કહી રહ્યો હતો કે તેણે અસ્થિર મગજનું બહાનું કાઢી, આછુંપાતળું જૂઠું બોલી, વ્યવહારમાં પ્રવેશી જવું અને ગઈગુજરી ભુલાઈ જાય એમ મથન કરવું.

એવામાં ન્યાયાસનની બાજુએથી એક લાંબી સિસકારી ઉચ્ચારાઈ, કોઈ મહત્ત્વની વ્યક્તિ પધારતી હોય એવું એ સિસકારીમાં સુચન હતું. એક ચોપદાર દેખાયો; એ ચોપદારની પાછળ ન્યાયસૂચક કાળો ઝભ્ભો ઓઢી ન્યાયાધીશ ગંભીરતાપૂર્વક પધાર્યા, અને ન્યાયાસન ઉપર બિરાજ્જ્યા પણ ખરા. ભેગી થયેલી મેદની ન્યાયમૂર્તિનું દર્શન થતાં જ શાંત પડી ગઈ, બેઠેલા વકીલો અને ગૃહસ્થોએ ન્યાયાધીશને જતાં બરોબર ઊભા થઈ માન આપ્યું અને તેમના બેઠા પછી જ તેમની મહત્વની બેઠક લીધી પણ ખરી. આખા ખંડમાં શાંતિ પ્રસરી ગઈ. ન્યાયાધીશની ગૌરવપૂર્ણ નજર આખા ખંડ ઉપર ફરી વળી. અને ગુનેગાર કરતાં પણ ન્યાયાધીશ પોતે વધારે રસભર્યું મહત્ત્વ ધરાવતી વ્યક્તિ છે એવી તેમણે છાપ પણ પાડી. ન્યાયાધીશ સાહેબના મુખ ઉપરની સ્વસ્થતા જોઈ જાયાસન ઉપર બેઠેલા એક કારકુને બૂમ પાડી :

'આરોપી કિશોરકાન્ત !'

કારકુનની બૂમ એકબે પટાવાળાઓએ ઝીલી લીધી, અને તેનો વધારે પ્રભાવિક પડઘો પાડતાં કહ્યું :

‘આરોપી કિશોરકાન્ત !'

ન્યાયની સામે આવનાર સર્વ કોઈ તુચ્છ છે, એમ દર્શાવનાર એક