પૃષ્ઠ:Trishanku.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫રઃ ત્રિશંકુ
 

પડ્યો અને બોલ્યો :

'એ બાકી હતું - ઘેલા ઠરવાનું ! મારા જ વકીલ ઘેલછાની છાપ મને લગાડવા મથે છે ! આનો અર્થ એટલો જ કે આ જીવનમાં જીવવું હોય તો કાં ઘેલાં થાઓ કે કાં ગુનેગાર બનો ! ત્રીજો માર્ગ નથી.'

કિશોરને બોલતો અટકાવી ન્યાયાધીશસાહેબ બોલ્યા :

'ફરિયાદી તરફે વકીલસાહેબને કાંઈ કહેવું છે ?'

એ સાંભળી. ફરિયાદી પક્ષના વકીલસાહેબે ઉભા થઈ એક ઠીક લાંબું ભાષણ આપ્યું :

'નામદાર સાહેબનો કિંમતી સમય હું બરબાદ કરવા માગતો નથી. નામદાર સાહેબે આરોપીને બચાવની પૂરતી સગવડ આપી છે. પરંતુ એની પાસે બચાવનું એક પણ સાધન નથી. એના કુટુંબીઓ પણ બચાવવા માટે આગળ આવતા નથી. હું કહી શકું કે આરોપીના વકીલ માનસિક આઘાતની દલીલ વચ્ચે લાવી પોતાની ફરજ સારી રીતે બજાવી છે. પરંતુ એ આઘાતનો કોઈ પુરાવો રજૂ થતો નથી. પુરાવામાં કોઈ ડૉક્ટરને પણ લાવવામાં આવતો નથી. મને પૂછવા દો, નામદાર સાહેબ ! કે કોઈએ વિશ્વાસથી સોંપેલી નોટો બાળી નાખવાનો દેખાવ કરી ત્રાહિત માણસની રકમ છરી બતાવી લૂંટી લેનાર ભયંકર માનવીને છૂટો મૂકવામાં સમાજ સુરક્ષિત રહેશે ખરો ? માનસિક આઘાતની બાબતમાં એટલું જ કહીશ કે એ બહાને ઘણાને ગુનો કરવાની સગવડ મળશે... અને જે સિદ્ધાંતોની ચર્ચા આરોપી કરવા માગતો હતો, અને જેને આપ નામદારે બહુ સાચી રીતે અને ખરે વખતે અટકાવી દીધો, એ જોતાં આરોપીનું મન સ્વસ્થ છે, એણે સમજપૂર્વક ગુનો કર્યો છે એમ સાબિત થાય છે. એવા ગુનાને ગુનો ન ગણવાની દલીલમાંથી આરોપી ભયંકર જોખમભર્યા અને સમાજનું સત્યાનાશ કાઢી નાખે એવા રાજકીય સિદ્ધાંતો ધરાવતો હોય એમ પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. આવા માણસને ભારેમાં ભારે સજા કરી આપ આપની આજ સુધીની ન્યાયવૃત્તિનું એક વધારે દ્રષ્ટાંત આપશો એવી મારી ખાતરી છે.'

એટલું બોલી વકીલસાહેબ નીચે બેસી ગયા.

ન્યાયાધીશ સાહેબ પોતાનાં ખુરશી મેજ ઉપરથી ખસ્યા નહિ. ત્યાં ને ત્યાં ટૂંકો ઠરાવ લખી. તેમણે તે અદાલતમાં વાંચી સંભળાવ્યો :

'પ્રથમ દૃષ્ટિએ આ ગુનો ભલે ભયંકર લાગે, પરંતુ કોઈની ભારે રકમ જતી નથી એ વાત ચોક્કસ છે. અનેક સાચાખોટા પૂર્વપશ્ચિમના