પૃષ્ઠ:Trishanku.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
 
જીવન અને ઉજાણી
 


રેલ્વે ટ્રેઈન હવે આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગઈ છે, અને મોટા ભાગની જનતા માટે રેલ્વે ટ્રેઈનનો ત્રીજો વર્ગ એ જીવન સાથે જડાયેલો ભાગ બની ગયો છે. દર્શન અને તારા કદી કદી બાળકોને પોતાની સાથે ફરવા લઈ જતાં : દૃશ્યો દેખાડવા લઈ જતાં અને બાળકોને ગમે એવી કદી કદી ખરીદી પણ કરતાં હતાં. આજ તારા અને દર્શન બાળકોને બગીચામાં લઈ જવાનો વિચાર કરી ટ્રેઈનમાં બેસી ગયાં હતાં. ગાડીનો ડબ્બો ખીચોખીચ ભરાયલો હતો, છતાં એક બારી પાસે શોભા અને અમર બેસી શક્યાં હતાં અને સામી બાજુએ બીજી બારી પાસે તારા અને દર્શન બેઠાં હતાં. એ બંને બેઠકોની પાછળ કેટલાક ઉતારુઓ બેઠા હતા, પરંતુ સહુ પોતપોતાની દુનિયામાં વિહરતા લાગતાં હતાં - ત્રીજા વર્ગમાં વિહરવાનું શક્ય હોય તો ! ઘોંઘાટ, જવરઅવર, મોટી-ઝીણી વાતો અને ગાડીનો ખખડાટ અત્યંત અસ્પષ્ટ વાતાવરણ ઊભું કરતાં હતાં. છતાં માનવશક્તિ એ બધી મુશ્કેલીઓથી પર બનીને જરૂર પડે ત્યાં મુસાફરોને વાત કરવાનું અને વાત સાંભળવાનું શક્ય બનાવતી હતી.

તારાએ દર્શન સાથે વાત શરૂ કરી.

'જો, દર્શન ! આ ગાડીમાં બેઠેલાં બધાંયના મુખ ઉપર હું તો ચિંતા જોઈ રહી છું.'

દર્શન સહજ હસ્યો પણ તેણે કંઈ જવાબ આપ્યો નહિ, એટલે તારાએ પૂછ્યું :

'કેમ હસે છે? મારું કહેવું સાચું નથી શું ?'

'તારું કહેવું સાચું ખરું, છતાં એનો અપવાદ હોઈ શકે છે.' દર્શને કહ્યું.

'અપવાદ ? મને તો કોઈ ચિંતારહિત મુખ દેખાતું નથી.'

'તો જો આપણાથી પાંચમી બેઠક ઉપર નજર કર. એની ઉપર બેઠેલી એક્કે વ્યક્તિના મુખ ઉપર ચિંતા ઘેરાયલી દેખાતી નથી.'

'પેલી બે સ્ત્રીઓ અને પુરુષ બેઠો છે તેની તું વાત કરે છે ?... હા,