પૃષ્ઠ:Trishanku.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯ : ત્રિશંકુ
 

‘મારી રાહ જોતી ?'

'હા. તમે આવ્યા વગર નહિ રહો એવી મારી ખાતરી હતી.'

'કેમ એમ ?'

'કાં તો વહેમે ભરાઈ... વેર લેવાને બહાને... મારી છાતીમાં છરી ભોંકવા... અગર વહેમ મટ્યે ઘરની હવાથી હૈયું ભરવા... તમે આવ્યા વગર રહો જ નહિ !... બન્ને પ્રસંગે મારું હૈયું ખુલ્લું જ હશે... હૈયામાં તમે જ હશો !' સરલાએ કહ્યું.

કિશોરના મસ્તકમાં તમ્મર આવ્યા. તેની આંખને લાગ્યું કે આખી સુષ્ટિ ગોળગોળ ફરી રહી છે. વેર લેવાના વિચારે તેના દેહને આપેલું સઘળું જોર હણાઈ ગયું અને તેને લાગ્યું કે તે ભોંય ઉપર પડી જશે. બંગડી મળી હોત તો સાધુ પાસે તેનાથી જઈ શકાત. એ સાધુને પણ વીસરી ગયો અને તેનાથી બોલાઈ ગયું :

'સરલા ! મારો હાથ પકડી લે; મને ફેર આવે છે.'

સરલાએ કિશોરનો મૂકી દીધેલો હાથ પાછો ઝાલી લીધો. ઘર હવે બહુ દૂર ન હતું. ઘેર જવું કે ન જવું એ પ્રશ્ન કિશોરના હૃદયમાં હવે રહ્યો જ ન હતો.

કિશોરને આવતો નિહાળી સરલાનું આખું ઘર બહાર નીકળી આવ્યું. કોઈના કંઠમાં ઉદગાર કે ઉચ્ચાર ન હતો. કિશોરની આંખનાં આંસુએ સહુની આંખમાં પડઘા પાડ્યા.

કિશોર સિવાય સહુનો એ દિવસ ખૂબખૂબ આનંદમાં વીત્યો. શોભા અને અમરનો પિતા ઘરમાં પાછો આવ્યો હતો; તારાનો વહાલો ભાઈ ઘરમાં આવ્યો હતો; દર્શનનો શુભેચ્છક ઘરમાં આવ્યો હતો... અને કોઈથી ન બન્યું તે સરલાએ કર્યું - સરલા પતિનો હાથ પકડી તેને ઘેર લઈ આવી હતી ! સહુને મન એ દિવસે સોનાનો સૂરજ ઊગ્યો હતો. સહુ સમય થતાં પોતપોતાને કામે ગયાં અને સાંજ પડતાં પાછાં આવી ગયાં. ઘર બહાર નીકળ્યાં ન હતાં માત્ર સરલા અને કિશોર ! કિશોર ઘરમાં આવ્યો તો ખરો, પરંતુ એને હજી ઘર એનું લાગ્યું ન હતું. આજ એ સહુનું પોષણ કરતો ઘરમાલિક ન હતો; ઘરમાં આજે તો આશ્રિત કે સમાજથી સંતાતો ફરતો એક ગુનેગાર હતો ! સાંજે સહુ કોઈ ભેગાં થઈને બેઠાં, હસ્યાં, આનંદ કર્યો, છતાં કિશોરના મુખ ઉપરનો વિષાદ જરાય ખસતો ન હતો !

કિશોર અને સરલા એકલાં પડ્યાં અને કિશોરથી બોલાઈ ગયું :

‘પણ સરલા ! હું હવે અહીં કરીશ શું ? કુટુંબનું પોષણ....'